જામનગર મોર્નિંગ -નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધી ભેટ તરીકે આપેવામાં આવેલા સ્મૃતિ ચિહ્નોની હરાજી રવિવારે શરૂ થઇ છે. આ સ્મૃતિ ચિહ્નોમાં ઘણું બધુ ખાસ છે, પરંતુ તેમાં સૌથી વધુ ખાસ 1000 રૂપિયાની છત્રપતિ શિવાજી મહારાજની એક મૂર્તિ છે. તેની હરાજીની રકમ 22,000 રૂપિયા રાખવામાં આવી છે. હરાજી વિશે સંસ્કૃતિ મંત્રાલયે આ માહિતી આપી છે. હરાજીની પ્રક્રિયા રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (એનજીએમએ), દિલ્હીમાં યોજાશે. તેનાથી મળેલ રકમ સરકારની મહત્વપૂર્ણ 'નમામિ ગંગે' પરિયોજના માટે ઉપયોગમાં લેવાશે. હરાજી માટે સંસ્કૃતિ મંત્રાલયે વિશેષ વેબસાઇટ શરૂ કરી છે. 
આ સાઇટ પર પીએમને મળેલી ભેટોની સંપૂર્ણ વિગત ઉપલબ્ધ છે. સ્મૃતિ ચિહ્નની કિંમત 100 રૂપિયાથી લઇને 30,000 રૂપિયા વચ્ચે છે. રકમના આધારે ભેટો વિશે વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકાય છે. એનજીએમએ જોકે તે નથી જણાવ્યું કે પહેલા દિવસે થયેલી હરાજીથી કેટલા પૈસા આવ્યા અને સૌથી ઊંચી કિંમત પર કયા ભેટની હરાજી થઇ. એનજીએમએએ કહ્યું કે તેની માહિતી અંતિમ દિવસે સોમવારે આપવામાં આવશે.
એનજીએમએમાં બે દિવસ હરાજી ચાલશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા 28 જાન્યુઆરી સમાપ્ત થશે. ત્યારબાદ ફરી પ્રક્રિયા શરૂ થશે અને બાકી બચેલા ઉપહારોની ઇ-હરાજી 29થી 31 જાન્યુઆરી સુધી થશે. પીત્તળ, ચિની માટી, કાપડ, ગ્લાસ, સોનું, મેટલના ભેટ આધારીત અલગ-અલગ શ્રેણી બનાવવામાં આવી છે. સાઇટ પર દરેક ભેટનું કદ અને તેનું વજન જણાવાયું છે. વડાપ્રધાનને કોણે તે ભેટ આપી આ વિશે પણ સાઇટમાં ઉલ્લેખ કરાયો છે.
ઘણા ભેટોમાં રાધા-કૃષ્ણની પણ એક મૂર્તિ છે, જેના પર સોનાનું કોટિંગ કરાયું છે. તેની બેઝ કિંમત 20,000 રૂપિયા રાખવામાં આવી છે. 4.76 કિલોની આ મૂર્તિ સુરતમાં માંડવી નગર પાલિકાએ વડાપ્રધાનને ભેટ સ્વરૂપે આપી હતી.  અલગ અલગ ભેટોમાં ગૌતમ બુદ્ધની એક મૂર્તિ, ગોમુમ (ગંગાનું ઉદ્ગમ સ્થાન)ની ત્રિઆયામી તસવીર, મહાત્મા બસવેશ્વરની મૂર્તિ, સ્વામી વિવેકાનંદની મૂર્તિ અને ચાંદી ચઢેલ શિવલિંગ સામેલ છે. 
ભેટોની યાદીમાં સૌથી વધુ ખર્ચાળ એક સ્મૃતિ ચિહ્ન 2.22 કિલોગ્રામનું સિલ્વર પ્લેટ છે. તેની કિંમત 30,000 રૂપિયા છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ સી નરસિંહને વડાપ્રધાન મોદીને આ ભેટ આપી હતી. હરાજી શરૂ થતા પહેલા સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્માએ કહ્યું હતું કે હરાજી માટે 1900 ભેટો રાખવામાં આવશે.