જામનગર મોર્નિંગ - દ્વારકા : ખંભાળિયા નજીક આવેલ એસ્સાર પાવર હવે નયારા એનર્જીના નામથી ચાલે છે નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરથી શીપ મારફત કોલસાની આયાત કરીને સ્ટોકયાર્ડમાં સ્ટોક કરવામાં આવે છે .ત્યારે એસ્સારના સ્ટોક
યાર્ડમાંથી ૩૦ કરોડના કોલસા ચોરી થયાનું બહાર આવતા એસ્સાર બલ્ક
ટર્મિનલ(સલાયા)સર્વિસ લિમિટેડના અધિકારી વગેરેનો હાથ હોવાનું ખૂલતાં મામલો
પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
કોલસા ચોરી કૌભાંડની બહાર આવેલી વિગતો એવી છે
કે, ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરેથી શીપ
મારફત કોલસાની આયાત કરીને એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા)સર્વિસ લિમિટેડ સાથે એગ્રીમેન્ટ મુજબ નાના માંઢા નજીક આવેલ એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાં કોલસો રાખવામાં
આવતો હતો.
નયારા એનર્જી કંપનીના મુંબઈથી આવેલા અધિકારીઓએ આ
સ્ટોકયાર્ડમાં કોલસાની આવક-જાવકનું ઓડિટ હાથ ધરતા ૬૮૩૮૧ મેટ્રિક ટન એટલે કે
૩૦ કરોડના કોલસાનો ગોટાળો નીકળ્યો હતો અને છેલ્લા એક વર્ષ દરમ્યાન કોલસા
ચોરી કે સગેવગે થયો હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું હતું આથી નયારા
એનર્જી કંપનીના અધિકારી અનિલ વિશ્વંભરમએ એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા)
સર્વિસ લિમિટેડના જવાબદાર અધિકારી,કર્મચારી,સિક્યુરિટી ગાર્ડ વગેરે સામે
ચોરી કે કોલસાને સગેવગે કરીને ઉચાપત કરી નયારા એનર્જી કંપની સાથે
વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
છે.ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.