જામનગર મોર્નિંગ - દ્વારકા
વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરીયા કાંઠે તેમજ દરિયામાં આવવા જવા પર તા.૧૨થી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના લીધે બેટ - દ્વારકા ફેરી બોટ સર્વિસ પણ તા.૧૨ થી ૧૮ સુધી બંધ રહી હતી જે ફેરી બોટ સર્વિસ તા.૧૮થી પુનઃ શરુ કરવામાં આવી હતી. પરંતુ બોટ માલિકોએ એક બોટમાં ૫૦ થી વધારે પેસેન્જરોને બેસાડવા નહી તે શરતે ફેરી બોટ શરુ કરવાની પરવાનગી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

જગતમંદિર દ્વારકાથી ૩૦ કિ.મી. દુર આવેલ બેટ દ્વારકા ટાપુ પર શ્રી કેશવરાઈજી મંદિર, હનુમાન દાંડી વિગેરે ધાર્મિક સ્થળો આવેલ છે. બેટ દ્વારકા જવા માટે ફક્ત અને ફક્ત દરયાઈ માર્ગનો જ સહારો લેવો પડે છે.

જેથી વાયુ વાવાઝોડાને પગલે બંધ કરવામાં આવેલ બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ વાવાઝોડાની અસરપૂર્ણ થતા ફરીથી શરુ કરવામાં આવતા દ્વારકા અને બેટ દર્શનાર્થે આવતા ભાવિકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.