જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ઓરિસ્સા, ઉત્તરાંચલ, કેરાલા, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના રહેવાસીઓ હાલમાં અહીં લોકડાઉનમાં જામનગર ખાતે છે. ભારત સરકારના આદેશ અનુસાર હાલ લોકડાઉનની અવધી ૧૭ મેં સુધી લંબાવવામાં આવી છે ત્યારે આ જામનગરમાં રહેલા પરપ્રાંતીય લોકોને  પોતાના રાજ્યમાં જવું હશે તો તેઓ માટે કલેકટરશ્રી રવિશંકરે ખૂબ સરળ આયોજન કરેલ છે.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં રહેલા પરપ્રાંતિયોને લોકડાઉનમાં ઘરે જવું હશે તો તેઓએ સાદા કાગળ પર પોતાનું નામ, જિલ્લો,હાલમાં જામનગરના કયા તાલુકામા વસેલ છે તે તાલુકાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ક્યાં રાજ્યમાં જવું છે તેનું નામ, ત્યાંનો જિલ્લો, ખાનગી વાહન દ્વારા જવા ઈચ્છે છે કે રેલવે દ્વારા તે વિગત, જો પોતાના ખાનગી વાહનમાં જવા ઈચ્છતા હોય તો તે વાહનના નંબર, કયા રૂટ દ્વારા જશે તેની થોડી વિગત તેમજ અરજદાર સાથે અન્ય કેટલા લોકો પ્રવાસ કરી રહ્યા છે, તેમાં ખાસ કેટલા બાળકો અને કેટલા વયસ્કો છે તેની વિગત તૈયાર કરી અરજદારે પોતાના કોઈપણ એક આઈ-કાર્ડને તેમાં જોડી તેનો ફોટો પાડી ઈ-મેઈલ આઈડી:gohome.jam@gmail.com અથવા તો વોટ્સએપ નં:૬૩૫૨૬૯૧૯૩૧, ૬૩૫૨૬૯૧૯૩૨, ૬૩૫૨૬૯૧૯૩૩,પર તંત્રને મોકલાવી શકશે.
આ માટે અરજદારે કોઈપણ કચેરીએથી ફોર્મ મેળવવાનું નથી, ઉપરોક્ત જણાવેલ વિગતો સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે લખીને વોટ્સએપ દ્વારા અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાનું રહેશે. તદઉપરાંત જો કોઇ અરજદાર પાસે વોટ્સએપ અથવા તો ઇમેલ આઇડીની સુવિધા પ્રાપ્ય નથી તો તે વ્યક્તિ આ વિગતો કાગળ ઉપર તૈયાર કરી ફોન નં.૦૨૮૮-૨૫૪૧૯૬૦ પર ફોન કરી પોતાની વિગતો નોંધાવી શકશે, અને સહાય માટે સંપર્ક કરી શકશે.