જામનગર જિલ્લાને કોરોનાના લોકલ સંક્રમણથી બચાવવા કાર્યરત કંટ્રોલરૂમ 
જામનગર મોર્નિંગ - જામનગર 
કેમ છો તબિયત સારી ને? એવી મીઠી પૃચ્છા સાથે હોમ કવોરન્ટાઇન કરાયેલ અનેક લોકોના સ્વાસ્થ્યની જામનગરના કંટ્રોલરૂમ દ્વારા આશરે બે મહિનાથી વધુ સમયથી સતત દરકાર લેવાઈ  છે. જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ના પ્રારંભના સમયમાં જ કલેકટરશ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ  જિલ્લાનો કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવેલ હતો. આ કંટ્રોલરૂમના માધ્યમથી હોમ કવોરેંટાઇન થયેલ લોકોને તેમના મનમાં રહેલા કોવિડ વિશેના પ્રશ્નોના સમાધાન, તેઓ ઘરમાં જ છે અને ક્વોરેંટાઇનનું સંપૂર્ણ પાલન કરેછે કે નહીં? તેના વિશેનું ધ્યાન અને મનમાં છુપા ડરને દૂર કરવા માટે કન્ટ્રોલ રૂમના કાર્યરત સભ્યો દ્વારા સતત બે મહિનાથી આ કામગીરી કરી કોરોના વોરિયર્સ તરીકેની લડત લડાઇ રહી છે.
જામનગરમાં પ્રારંભના સમયમાં એક પણ સંક્રમણનો કેસ ન આવે તે માટે વિદેશથી આવેલા લોકો કે જેઓને હોમક્વોરેંટાઇન કરવામાં આવેલ હતા તેના પર સતત નિરીક્ષણ કરી તેમની તબિયતનું ધ્યાન રાખી અને જો કોઈપણ વ્યક્તિને કોરોનાના કોઈપણ લક્ષણો દેખાય તો તેમને પૂરતા માર્ગદર્શન સાથે તેમના પ્રશ્નોના સમાધાન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સેવાકર્મીઓ દ્વારા લોકોની અનોખી સેવા કરવામાં આવી છે.
અહીં દિવસ-રાત લોકોના આરોગ્યની ચિંતા કરતા સેવાકર્મી શ્રી કેનેડી ગેબ્રિયલકહે છે કે,પ્રારંભના સમયમાં વિદેશથી આવેલા લોકો કે અહીંના સ્થાનિક લોકોમાં પણ કોરોના વિશેની જાણકારીના અભાવથી એક અત્યંત ભયનો માહોલ હતો એવા સમયે હોમક્વોરેન્ટાઇન થયેલ વ્યક્તિની તબિયતની કાળજી અમારા દ્વારા લેવાઈ રહી હતી પરંતુ સાથે જ અમારો પ્રયાસ હતો કે, સમાજથી એકલા રહેલા આ લોકોના મનમાં જે કોવિડનો છૂપો ડર છે એ કાઢી તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના અમે સમાધાન આપી શકીએ અને તેમની પાસે ક્વોરેન્ટાઇનનું સંપૂર્ણ પાલન કરાવી તેમના સ્વાસ્થ્યની કાળજી અને સમાજના સ્વાસ્થ્યની કાળજી લઈ શકીએ. 
તો અહીં કાર્યરત શ્રીદુષ્યંતભાઇ જાડેજા કહે છે કે, આશરે બે મહિનામાં ૮૦૦૦થી વધુ કોલ ઉપર વાત કરી, લોકોને આ બીમારી વિષે અવગત કર્યા છે અને જામનગરને સંક્રમણથી બચાવવા માટેના પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોની ફલશ્રુતિરૂપે જ જામનગરમાં આવેલ હાલના ઘણા કેસો આરોગ્ય, પોલીસ, વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસથી સમરસ હોસ્ટેલ ખાતે અથવા તો કોઈ એક જ વિસ્તારમાં એક જ ઘર પૂરતા જ મર્યાદિત રાખી અને લોકલ ટ્રાંસમિશનથી જામનગરને બચાવી શકાયું છે. 
જામનગરમાં આવી જ રીતે લોકોને મુંઝવતા પ્રશ્નોના નિવારણ માટે ૧૦૭૭ હેઠળનો કંટ્રોલરૂમ કાર્યરત છે. કોરોનાવાયરસ બીમારીના કારણે લોકડાઉનનિર્મિત થયું ત્યારથી જ લોકોને કોઈપણ આવશ્યક વસ્તુઓ માટે માર્ગદર્શન મેળવવા, પૂછપરછ કરવા રાજ્ય સરકાર દ્વારા ૧૦૭૭ હેલ્પલાઇન નંબર હેઠળ સ્ટેટ કંટ્રોલ રૂમ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દરેક જિલ્લામાં આ હેલ્પલાઇન અંતર્ગતના કંટ્રોલરૂમ કાર્યરત કરાયા. જામનગર જિલ્લામાં ડિઝાસ્ટર ઓફિસ અંતર્ગત અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયાના નેજા હેઠળ કોરોના, ફુડ પેકેટ, પરપ્રાંતીઓ અને ક્યુઆરટી ટીમ વિશેના  ૪૫૦૦ સૌથી વધુ કોલમાં  લોકોની પૂછપરછના જવાબ, તેમના ફરિયાદના નિવારણ કરવામાં આવ્યા છે.  ૧૦૭૭ના કંટ્રોલરૂમ દ્વારા લોકોના કોઈપણ પ્રશ્નોના નિવારણ માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે વહીવટીતંત્ર ખંતથી સતત બે મહિનાથી કામ કરી રહ્યું છે તેમ જણાવતા અધિક નિવાસી કલેકટર કહ્યું હતું કે, આ કંટ્રોલરૂમ દ્વારા ૨૯૯૦ઓનલાઇન ફરિયાદનું નિવારણ કરાયું, જ્યારે ૨૬૭ જેટલી  ક્યુઆરટી ટીમ મારફત મળેલી ફરિયાદોનું નિવારણ થયું છે અને ૧૮૩૮૧જેટલી જુદી-જુદી ફરિયાદોનું નિવારણ સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કરાયું છે. 
તદુપરાંત આ હેલ્પલાઇન દ્વારા ૪૯૪૫ જેટલાં શ્રમિકોના પૂછપરછ અંગેના કોલ પર શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કંટ્રોલરૂમ દ્વારા ૧૧૦૦ જેટલા પાસનું વિતરણ પણ કરાયું છે. કોરોનાની મહામારીએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે અનેક  પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિર્મિત થઈ છે, ત્યારે પ્રારંભથી લઇને હાલ સુધી અને હજુ પણ આગળ જામનગર જિલ્લાના લોકોને આ મહામારીમાં પણ લોકલ ટ્રાંસમિશનથી બચાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૨૪ કલાક કાર્યરત આ કંટ્રોલ રૂમો દ્વારા લોકોને માર્ગદર્શન આપીને લોકોના અમૂલ્ય જીવનને બચાવવા અનોખી સેવા થઈ રહી છે, તે અથાગ પ્રયત્નો અત્યંત સરાહનીય છે. 
સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ
ફોટો-ગજેન્દ્રસિંહ જાડેજા,માહિતી બ્યુરો,જામનગર