મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે: શરણે આવેલાની રક્ષા કરવી તે  ક્ષાત્ર ધર્મ છે: વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે: જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શોર્ય કથામાં સહભાગી થતાં મુખ્યમંત્રી: મુખ્યમંત્રીએ શહિદ સ્મારકનો જીર્ણોદ્ધાર કરી નવી પેઢીમાં ઉજાગર કરવા તત્પરતા દાખવી: ડો.જયેન્દ્રસિહ જાડેજા લિખિત' આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી



જામનગર મોર્નિંગ - જામનગર 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપતાં જણાવ્યું હતું કે મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે.


દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચરમોરીનું યુદ્ધ.કાઠીયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુદ્ધમાં આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રીયો અહીં શહીદ થયા હતા.  


સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી.


ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીની સ્મૃતિમાં તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે ત્યારે ભારત માં ના સપૂત એવા વાજપેયીજીના શૌર્યને પણ મુખ્યમંત્રીશ્રીએ યાદ કર્યું હતું.વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે. ભારતમાતાના આવા વીર, સાહસી અને પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન, ગાયન અને રસપાન થતું જ રહેવું જોઇએ તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.


આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તેમજ મુખ્યમંત્રીને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત 'આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.


કાર્યક્રમના પ્રારંભે ક્ષત્રિય સમાજની દિકરીઓએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતીય નારીઓની વીરતાની જાંખી કરાવતો તલવાર રાસ રજૂ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, પી.ટી.જાડેજા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, રમેશભાઈ મુંગરા, જયશ્રીબહેન પરમાર, રાજભા જાડેજા, દીપકસિંહ ઝાલા, પથુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે જામ અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્મારકના જીર્ણોદ્ધાર માટે હકારાત્મક અભિગમ દાખવી નવી પેઢીને આ શૌર્ય ભૂમિમાંથી પ્રેરણા મળતી રહે તે માટે તત્પરતા દર્શાવી હતી.શૌર્યકથામાં સહભાગી થતાં પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ આયોજકો જોડાયાં હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી.