કિશનચોકમાં મનમાં લાગી આવતા પરણીતાનો ગળેફાંસો 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાં 15 વર્ષના તરુણે અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા સીટી સી ડિવીઝનમાં જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી જયારે 20 વર્ષની પરણીતાને પતિ સાથે સામાન્ય બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી તાજ બ્યુટી પાર્લરની સામે રહેતો ક્રિપાલસિંહ કિશોરસિંહ જેઠવા (ઉ,વ,15) નામનો તરુણ પોતાના ઘરે પંખામાં દોરી બાંધી અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી તેમજ તરુણના પિતા કિશોરસિંહ ભીખુભા જેઠવાએ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. 

જયારે શહેરના કિશનચોક ખીરા ગેરેજ સાલીમાર હોટલની બાજુમાં રહેતી નાઝમીનબેન શાહબાજભાઈ ગોધવીયા નામની 20 વર્ષની પરણીતા કાકાના દીકરાના લગ્ન હોય અને કંકોત્રી લખાવવા ગયેલ હોય અને રાત્રીના સાડા ત્રણ ચાર વાગ્યે ઘરે આવતા તેમના પતિએ પૂછતાં કેમ મોડા આવ્યા તે બાબતે સામાન્ય બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા શાહબાજભાઈએ સીટી એ ડીવીઝનમાં જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.