યુવાશક્તિને ઉદ્યોગ સાહસિકતાની સુવર્ણ તક આપતા સ્ટાર્ટઅપ્સ માટે પ્રત્યુત્તર પાઠવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

જામનગર મોર્નિંગ - જામનગર


સંસદના શિયાળુ સત્રમાં 12-જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે તેમજ વ્યાપક જનહિતમાં સંસદમાં વધુ એક વખત મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે અંતર્ગત યુવાશક્તિને ઉદ્યોગ સાહસિકતાની સુવર્ણ તક આપતા સ્ટાર્ટઅપ્સ માટે પ્રશ્નના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

સંસદના શિયાળુ સત્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના લોકપ્રિય સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રશ્ન પૂછ્યો હતો કે, દેશના 84,000થી  વધારે સ્ટાર્ટ-અપ્સમાંથી કેટલા સ્ટાર્ટઅપ્સ ટાયર-2 અને ટાયર-3 પ્રકારના શહેરોમાં કાર્યરત છે? અને સરકાર દ્વારા મેટ્રો સિટીની બહાર પણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શું ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે?

આ પ્રશ્નના જવાબમાં મંત્રી પિયુષ ગોયલ દ્વારા વિસ્તૃત જવાબ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્ટાર્ટ-અપ્સ કાર્યરત છે. જેમાંથી 80% જિલ્લા સ્તરે કાર્યરત છે અને તેના પણ 45% ટાયર-2 અને ટાયર-3 પ્રકારના શહેરોમાં કાર્યરત છે.

સાંસદ પૂનમબેને સાથે જ પ્રશ્ન પૂછ્યો કે, છેલ્લા 5 વર્ષથી શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ્સ ફંડનું  ઈચ્છીત પરિણામ મળી શક્યું છે કે નહીં? અને શું સરકાર ઉદ્યોગોમાં મહિલાને પ્રોત્સાહન આપવા માટે તથા વેસ્ટ મેનેજમેન્ટ, ઈરીગેશન અને કૃષિમાં ઈનોવેટીવ સોલ્યુશન માટે કોઈ મહત્ત્વના ખાસ પગલાં લઈ રહી છે?

જેના જવાબમાં મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, વર્તમાનમાં ભારતની સ્ટાર્ટઅપ્સ ઈકો સિસ્ટમ વિશ્વની ત્રીજી સફળ અને મોટી સ્ટાર્ટઅપ્સ ઈકો સિસ્ટમ છે. જાન્યુઆરી 2016માં જ્યારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું ત્યાં સુધી દેશમાં માત્ર 452 સ્ટાર્ટઅપ્સ હતા જે આજે વધીને 80,012થી પણ વધારે થઈ ગયા છે. તથા મંત્રી પિયુષ ગોયલે પાટણનું ઉદાહરણ આપીને આ ટાંકયું કે, હજુય દેશના ટાયર-2, ટાયર-3 શહેરોમાં ખૂબ મોટી સંભાવનાઓ અને સામર્થ્ય રહેલા છે.

ઉલ્લેખનીય છે કે ભારતને વૈશ્ર્વીક સ્તરે અવિરત પ્રગતિ ઉપર લઇ જવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મુખ્ય વિઝનમાંના એક એવા આ સ્ટાર્ટ અપ્સ આજે દેશના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની રહ્યા છે તે ધ્યાને લેતા આ માહિતી જે જામનગર અબે દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રશ્ર્ન દ્વારા મળી છે તે ખૂબ મહત્વની ગણાય છે આ જ રીતે વખતો વખત સાંસદ પૂનમબેન વ્યાપક જનહિતને સ્પર્શતા મુદાઓની માહિતી સંસદભવન ના માધ્યમથી મેળવતા હોય છે