દિલ્હીના બે મહિલા સહિતના ૩ ઠગબાજોએ નાળિયેર એક્સપોર્ટ કરવાના બહાને વેપારીના ખાતામાંથી ૯.૭૦ લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તેમજ વેપાર કરતા એક યુવાનને દિલ્હીની બે મહિલા સહિતના ત્રણ ઠગબાજોનો ભેટો થઈ ગયો છે, અને લીલા નાળિયેરનો એક્સપોર્ટ નો વેપાર કરવાના બહાને તેની પાસેથી કટકે કટકે ૯.૭૦ લાખ ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે સીટી સી. ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં એરફોર્સ રોડ પર મયુર નગઈ પ્લોટ નંબર ૧૯ માં રહેતા અને ખેતી કામ તેમજ વેપાર કરતા નારણભાઈ દેવશીભાઈ વરુ કે તેઓ દિલ્હીની ટોળકી ના શિકાર બન્યા હતા, અને તેમણે કટકે કટકે પોતાની નવ લાખ સીત્તેર હજારની રકમ ગુમાવવી પડી હતી. 

દિલ્હીના રાજ કુમાર સુદ, શિવાંગી રોહિત સુદ અને નિરજા રોહિત કુમાર સુદ કે જે ત્રણેય એ લીલા નાળિયેર એક્સપોર્ટ કરવાના બહાને જામનગરના વેપારી સાથે ડીલ કર્યા પછી વિદેશ મોકલવા માટે ના ખર્ચા પેટે કરકે કટકે ત્રણેય ઠગબાજોએ કુલ ૯,૭૦,૨૮૦ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને હાથ ઊંચા કરી લીધા હતા.

આખરે આ મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને મહિલા સહિતના ત્રણેય ઠગબાજ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.