20 રોડ ઓવર બ્રિજ, અંડરપાસનું શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન પણ કરવામાં આવશે 

જામનગર મોર્નિંગ - જામનગર/ખંભાળિયા 

આગામી સોમવાર તારીખ 26 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમગ્ર દેશના 551 સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ તેમજ ઉદઘાટન કરવા માટે રૂ. 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે.

જેમાં રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ, 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂપિયા છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંડેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામ વંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચી માં 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તમામ બ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂ. 175.25 કરોડ છે.

રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત તેને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, અનાઉન્સમેંટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વિગેરે જેવી સુવિધાઓ હશે.

ભારતીય રેલવે સ્ટેશનોનું અભૂતપૂર્વ પરિવર્તન દરેક ભારતીયને ગર્વ કરાવશે અને જે ઝડપે પરિવર્તન થયું છે. તેનાથી દરેક પ્રવાસીને આશ્ચર્ય થશે. એક તરફ, મુસાફરોને સ્ટેશનો પર અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે.