• હજારોની સંખ્યામાં પસાર થતા લોકોની રોડ રીપેરીંગ કે નવીનીકરણ માટેની રોષભેર માંગણી

જામનગર મોર્નિંગ – જામનગર તા.૦૯ : જામનગર થી લાલપુર થઇ ભાણવડ – પોરબંદર તેમજ લાલપુર થી વાયા ત્રણ પાટિયા થઈને જામજોધપુર જતો રોડ જે લાલપુર થી ભાણવડ સુધીનો માર્ગ ઘણા લાંબા સમયથી ખખડધજ હાલતમાં ઠેર ઠેર તૂટીને ખાડાઓ થઇ ગયેલ છે આ રોડનો રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળના જામનગર ડીવીઝનમાં સમાવેશ થાય છે.

જામનગર થી લાલપુર, જામજોધપુર, ભાણવડ અને પોરબંદર જવા માટેનો મુખ્ય રોડ તેમજ જામનગર – લાલપુર અને ભાણવડના ગ્રામીણ વિસ્તારના લોકો રોજબરોજ આ રોડ પરથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે. લાલપુરથી ભાણવડના મોડપર ગામ સુધીનો આશરે ૪૩-૪૪ કિમીનો આ રોડ અગાઉ ૭ મીટર પહોળાઈ ધરાવતો હતો જે વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં લઈને વર્ષ ૨૦૧૮-૧૯માં આ રોડને ૧૦ મીટર પહોળાઈ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

આ રોડ વીતેલા ૨ વરસથી અતિ બિસ્માર હાલતમાં છે ઠેર – ઠેર તૂટી ગયેલ અને ઉભા રોડમાં લાંબા ખાડાઓ થઇ ગયેલ છે. આ રોડ પરથી રોજબરોજ પસાર થતા બાઈક ચાલકે અમારા રિપોર્ટરને જણાવ્યું હતું કે લાલપુરથી ત્રણ પાટિયા સુધીનો આ રોડ ખુબજ બિસ્માર હાલતમાં છે રોડમાં ઉભા ખાડા જેવા પટ્ટા થઇ ગયેલ છે બાઈક ચલાવવામાં જરા પણ બેધ્યાન થાય તો સ્લીપ થવાનો ડર લાગે છે રોડમાં ઠેર ઠેર ખાડા હોવાના કારણે મોટા વાહન વાળા પણ સતત રોડમાં સાઈડ બદલતા રહેતા હોય છે બાઈક ચલાવવી ખુબ મુશ્કેલી ભરેલ લાગે છે ઘણા લાંબા સમયથી આ રોડની હાલત આવી જ છે જામનગર થી લાલપુર – ભાણવડ – પોરબંદર અને લાલપુરથી વાયા ત્રણ પાટિયા થઈને જામજોધપુરને જોડતો મુખ્ય રોડ હોય રોજના હજારોની સંખ્યામાં લોકો રોડ પરથી પસાર થતા હોય આ લોકોને પાયાની સુવિધા સમાન આ રોડ પર તાકીદે પેવર પટ્ટા અથવા તો નવીનીકરણ કરવું જરૂરી છે.