જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના જીવાપર ગામની કૃષિ મંડળીના પ્રમુખ તથા મંત્રી દ્વારા ખેડૂતોના બોગસ સહી સિક્કા અને દસ્તાવેજો રજૂ કરી રૂ. 1.47 કરોડની વધુ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ થઇ હતી જે કેસમાં પ્રમુખ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરાયેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા ખેડૂત ભીમજી રણમલભાઇ પરમારે જીવાપર કૃષિ સહકારી મંડળીના પ્રમુખ ડો. પ્રાગજીભાઈ વેલજીભાઇ પરમાર તથા મંત્રી વાલીભાઈ વશરામભાઇ પરમાર (હેમંત પરમારના પિતા) અને બેંકના જવાબદાર અધિકારીઓ સહિતના શખ્સો સામે ખેડૂતોના બોગસ સહી સિક્કા અને દસ્તાવેજો રજૂ કરી રૂ. 1.47 કરોડથી વધુ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. 
જે ફરિયાદ ના અનુસંધાને જીવાપરની મંડળીના પ્રમુખ ડો. પ્રાગજીભાઈ પરમાર દ્વારા જામનગરની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે અરજી બાબતે અદાલતમાં દલીલો થતા સરકાર પક્ષે રોકાયેલા પબ્લિક પ્રોસીસકયુટર દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા હતા અને જીવાપર કૃષિ સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ ગુનાહિત કાર્યકરને બેન્કમાંથી ઉચાપત કર્યાની દલીલો કરી ખોટી રીતે ખેત ધિરાણ મેળવવા અંગેના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા જેને ધ્યાનમાં લઈને અદાલતે કૃષિ સહકારી મંડળીના પ્રમુખ ડો. પ્રાગજીભાઈ આગોતરા જામીન અરજી ના મંજુર કરી છે.