જામનગર મૉર્નિંગ - જામનગર 
જામનગરના જાણીતા લોહાણા પરિવાર નો દરેડમાં આવેલો કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ સાત વર્ષ પહેલા તેમના જેઠના પુત્રએ બોગસ સહી કરી બારોબાર વેંચી નાખ્યાની રાવ સાથે હાઈકોર્ટમાં રીટ કરતા હાઈકોર્ટે આ બાબતનો ગુન્હો નોંધવા સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો હતો. જેના પગલે સીઆઈડીએ ફરિયાદીના ભત્રીજા તેમજ પ્લોટના પ્રથમ ખરીદનાર નગરના જાણીતા અગ્રણી તેમજ બીજા ખરીદનાર જાણીતા કારખાનેદાર સામે ગુન્હો નોંધ્યો છે. આગાઉ એક આરોપીની ધરપકડ કરાયા પછી તેને જેલ હવાલે કરાયો છે જ્યારે જૈન અગ્રણીને જામીન મળી ગયા હતા પણ આ જાણીતા ઉધોગપતિની ધરપકડ ક્યારે થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. 
જામનગરના જાણીતા લોહાણા અગ્રણી કીલુભાઈ વસંતના પત્ની વર્ષાબેનએ ગઈ તા. ૧૮ના દિને રાજકોટના સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વધુ વિગત મુજબ તેમના પતિ વિનોદરાય (કીલુભાઈ)ના ભાઈ મહેશભાઈ વસંતના પુત્ર હેમલ તેમજ જામનગરના સુમેર ક્લબ રોડ પર સોહિલ બંગ્લોઝમાં વસવાટ કરતા રમણીકલાલ કેશવજીભાઈ (આર.કે.) શાહ તથા જામનગરની ઓશવાળ કોલોની શેરી નં. ૨ માં પ્રકૃતિ નામના બંગ્લામાં રહેતા કૃણાલ મહેશભાઈ બુસા નામના પટેલ આસામીએ વર્ષ ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં વર્ષાબેનની માલિકીનો જીઆઈડીસી ફેઝ-૩માં આવેલા પ્લોટ નં. ૩૬૬૪ના વેચાણ કરાર બોગસ રીતે ઉભા કરી તે મિલકતના કાગળોમાં  ખોટી સહીઓ કરી, ખરા તરીકે ઉપયોગ કરી છતેરપિંડી તથા વિશ્વાસઘાત આચર્યા છે.
જામનગરના પંડિત નેહરૃ માર્ગ પર દિપ ભવન સામે વસવાટ કરતા વર્ષાબેને ગઈ તા. ૧૬ ના દિને જાહેર કરાયેલી ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓના પતિ વિનોદરાય કલ્યાણજી (કીલુભાઈ) વસંતનું વર્ષ ૨૦૦૯માં અવસાન થયા પછી તેઓ પુત્ર મિતલ, પુત્રવધુ પ્રિયંકા સાથે વસવાટ કરે છે તેઓને સંતાનમાં કોમલબેન તેમજ શીતલબેન નામની બે પુત્રીઓ પણ છે. તેમના પતિ વિનોદરાય ત્રણ ભાઈઓ જેમાં જેઠ મહેશભાઈ અને દિયર શરદભાઈની વચ્ચેના ક્રમમાં હતા તેઓનું નિધન થયું છે. તે દરમ્યાન વર્ષાબેનને કેન્સરની બીમારી લાગુ પડતા તેઓ મુંબઈ સ્થિત દિયર શરદભાઈના ઘેર રોકાવા અને મુંબઈમાં સારવાર મેળવવા માટે ગયા હતા જ્યાં તેઓ એકાદ વર્ષ સુધી રહ્યાં પછી તેઓ જ્યારે વર્ષ-૨૦૧૫માં પરત આવ્યા ત્યારે તેઓને જામનગરના અગ્રણી આર.કે.શાહનો કોલ આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમોને એક કાગળ મોકલું છું તેમાં તમારી સહી કરી આપજો તેમ કહ્યું હતું આથી વર્ષાબેને શેનો કાગળ છે, મારે કઈ બાબતની સહી કરવાની છે તેમ પૂછતા રમણીકભાઈ શાહે જીઆઈડીસી ફેઝ-૩માં તમારા આવેલા પ્લોટની અમે ખરીદી કરી છે, તેનો કાગળ છે, તમે મિતલને મોકલો હું સમજાવી દઈશ તેમ કહેતા વર્ષાબેને પુત્રને મેટાલીક ઈન્ડસ્ટ્રીઝમાં આર.કે.શાહ પાસે મોકલ્યો હતો. જ્યાં આર.કે.શાહે કહ્યું હતું કે મારે હેમલ મહેશભાઈ વસંત સાથે  પ્લોટ બાબતનો વહીવટી થયો છે તે બાબતનો કરાર કરવામાં આવ્યો છે તે તમે જોઈ લેજો તેમ કહેતા વર્ષાબેનને પુત્ર મિતલે વાત કરતા વર્ષાબેન ચોંકી ગયા હતા. તેઓએ આ પ્લોટ બાબતનો કોઈ સોદો કર્યો ન હોય તેમ છતાં તે પ્લોટના વેચાણ કરાર ઉભા થઈ ગયા હોય તેઓએ આગળ તપાસ કરાવી હતી જેમાં કરારના પાના નં. ૩ પર વર્ષાબેન વિનોદભાઈ વસંતનું નામ વેચનાર તરીકે દર્શાવી તેના પર વર્ષાબેનના જેઠના પુત્ર હેમલ મહેશભાઈ વસંતની સહી જોવા મળી હતી. જ્યારે પાછળના ભાગે બે એન્ટ્રીઓ બતાવાઈ હતી. જેમાં તા. ૬-૩-૨૦૧૨ના દિને રૃા. ચાલીસ લાખ રોકડા મળ્યા હોવાનું, તેની નીચે હેમલની સહી હોવાનું અને એન્ટ્રી નં. ૨ માં તા. ૬-૧-૧૩ ના દિને રૃા. ૧૫ લાખ રોકડા મળ્યા હોવાનું લખેલું છે. તેમજ શરત નં. ૧ માં અવેજની બાકી રહેતી રકમ રૃા. એક કરોડ તેર લાખ ઉપરાંતની રકમ છ મહિનામાં તમો ખરીદનારે ચૂકવી આપવાની છે તેમ લખેલું જોવા મળ્યું છે આથી વર્ષાબેને પોતાના ૩૬૬૪ નંબરના આ પ્લોટનું વેચાણ બોગસ કરાર પર જ થયાનું માન્યું હતું.
તે ઉપરાંત વર્ષાબેનના બેંક સ્ટેટમેન્ટમાં પણ આર.કે.શાહ, પ્રેમલ શાહ, રાકેશ ડી.શાહ અને પ્રફુલ બુસા નામના ચાર વ્યક્તિઓ દ્વારા અલગ-અલગ પાંચ તારીખોમાં કુલ સાત ચેકથી રૃા. ૮૬,૩૫,૦૦૦ જમા કરાવવાની એન્ટ્રીઓ જોવા મળી છે. જે એન્ટ્રીઓથી વર્ષાબેન અજાણ છે. તેથી વર્ષાબેનને પોતાના બેંક એકાઉન્ટનો પણ અન્ય વ્યક્તિઓ દુરઉપયોગ કરતા હોવાની આશંકા ઉભી થઈ હતી. તેથી તેઓએ તા. ૨૯-૫-૧૫ના દિને બેંકમાં રજુઆત કરી સહીમાં ફેરફાર કરાવ્યો છે. તેઓના વહેંચી નાખવામાં આવેલા આ પ્લોટને ખરીદનાર આર.કે.શાહે તે પ્લોટ કૃણાલ બુસા નામના આસામીને વેંચી નાખ્યો હતો. આ પ્લોટમાં બાંધકામ અંગે જામ્યુકોમાં અરજી પણ કરવામાં આવી હતી અને તેને મંજુરી પણ મળી હતી. તે પ્લાન અંગેની વર્ષાબેને પ્રમાણિત નકલો કઢાવતા તેમાં પણ વર્ષાબેનની ખોટી સહીઓ જોવા મળી છે અને આ સહીઓ હેમલ મહેશભાઈ વસંતે કર્યું હોવાની આશંકા વ્યક્ત થઈ છે.
ઉપરોક્ત બાબતની ફરિયાદ માટે તજવીજ કરતા વર્ષાબેને  ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરતા હાઈકોર્ટે ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા પારખી આ કેસને નોંધવા માટે સીઆઈડી ક્રાઈમને આદેશ કરતા શનિવારે બપોરે રાજકોટ ઝોનની સીઆઈડી ક્રાઈમ કચેરીમાં ફરિયાદી વર્ષાબેન વસંતની ફરિયાદ પરથી આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૦, ૪૭૧ હેઠળ હેમલ મહેશભાઈ વસંત, રમણીકલાલ કેશવજી શાહ, કૃણાલ મહેશભાઈ બુસા સામે ગુન્હો નોંધાયો છે.
ઉપરોક્ત ગુન્હાની શરૃ કરવામાં આવેલી તપાસ દરમ્યાન ગઈકાલે સીઆઈડી ક્રાઈમની ટુકડીએ કૃણાલ બુસાની અટકાયત કરી લઈ પૂછપરછ કર્યા પછી તેને જેલ હવાલે કર્યો છે. જ્યારે આરોપી તરીકે દર્શાવેલા આર.કે.શાહે સીઆઈડીની ટુકડી પોતાની ધરપકડ કરશે તેવી ભીતીથી જામનગરની અદાલતમાં જામીન મેળવી લીધા હતા પણ આ ઉધોગપતિની ધરપકડ ક્યારે થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.