કલેકટર રવિશંકર અને કમિશનર સતિષ પટેલ દ્વારા કોરોના‌ વોરિયર્સને બિરદાવાયા : સ્વાસ્થ્યકર્મી, પોલીસકર્મીઓને તલસ્પર્શી માર્ગદર્શન અપાયું

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જી.જી.હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા કોવિડ-૧૯અંગે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. કપિલ દ્વારા સ્વાસ્થ્યકર્મી, પોલીસ કર્મીઓને કોવિડ-૧૯ અંગે તકેદારી, તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના નિરાકરણરૂપ પ્રેઝન્ટેશન અને સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રી રવિશંકરે આ કોરોના વોરિયર્સને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજના સમયમાં કોઈ એક વ્યક્તિની ભૂલ પણ બીજા માટે ઘાતકી થઈ શકે છે. કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે દરેકે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. આ વાઇરસના કારણે હવે આપણી જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. જેમ પહેલા રૂમાલ, વોલેટ અને મોબાઇલ જેવી વસ્તુઓ ઘરેથી નીકળતા સમયે આપણે યાદ રાખીને લેતા તેવી જ રીતે હવે લોકોએ ઘરેથી નીકળતા જ માસ્ક પણ યાદ રાખીને પોતાની સાથે ફરજિયાત રાખવાનું છે. 

તો કમિશનરશ્રી સતીષ પટેલે કહ્યું હતું કે, જામનગરમાં આવેલ કેસ બહારથી આવેલ લોકોના કેસ છે. આમ છતાં હવેના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની અને પરિવારની કાળજી લઇને ચાલવાનું રહેશે, સાથે જ કહ્યું હતું કે કોરોના વોરિયર્સ કે જેઓએ આજ સુધી જામનગરને કમ્યુનિટી સ્પ્રેડ્થી બચાવી રાખ્યું છે તેમની કામગીરી અત્યંત પ્રસંશનીય રહી છે. કોરોના વોરિયર્સને બિરદાવીને કમિશનરશ્રીએ અનુરોધ કર્યો હતો કે,જામનગર જિલ્લો હવે કોરોના મુક્ત રહે તે માટે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયના સૂચનોનો ઉપયોગ કરી જ રહ્યા છે પરંતુ સાથે જ જામનગરવાસીઓ અડધો કલાક કસરત કરીને પોતાને મજબુત કરે.
આ તકે,કોરોના વાયરસ નોડલ ડો.એસ.એસ.ચેટરજી દ્વારા ઉપસ્થિત સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસકર્મીઓના કોવિડને લગતા પ્રશ્નોના તલસ્પર્શી માર્ગદર્શન સાથે ઉત્તર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજ જામનગરના ડીનશ્રી ડો. નંદીની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટશ્રી ડો. તિવારી વગેરે ડોક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.