• આર.આર.સેલ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું હતું તાજેતરમાં જ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાંથી આર.આર.સેલનો પોલીસ મેન મોટી રકમની લાંચ લેતા ઝડપાયો હતો.
  • આ સેલની રચનાનો ઉદ્દેશ કોઈ પણ ગુનાને લગતી માહિતી મળે કે તરત કાર્યવાહી કરવાનો હતો કે જેથી ગુનાને અટકાવી શકાય.

જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.૨૨ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના આર. આર. સેલને બંધ કરવાની જાહેરાત કરી છે. રૂપાણીએ કહ્યું કે, આર.આર. સેલ ને રદ કરવા પાછળનું કારણ એ છે આ સેલની હવે ઉપયોગિતા રહી નથી. હવે ટેક્નોલોજી વધી છે તેથી આ સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રૂપાણીએ કહ્યું કે, 1995થી ચાલતો આર. આર સેલ. આજથી બંધ કરવામાં આવ્યો છે. જયારે એક વાત એવી પણ ઉઠી છે કે આર.આર.સેલ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું હતું તાજેતરમાં જ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાંથી આર.આર.સેલનો પોલીસ મેન મોટી રકમની લાંચ લેતા ઝડપાયો હતો. તે સિવાય આર.આર.સેલ ખનીજમાં દરોડા પાડીને મોટા તોડ કરતા હોવાનું પણ અવાર - નવાર પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આજે આ સેલ ને જ બંધ કરી દેવાનો મોટો નિર્ણય લેવાયો છે.

 

ગુજરાત સરકારે બંધ કરવાનો નિર્ણય લીધો એ આર. આર. સેલનું ફુલ ફોર્મ રેપિડ રીસ્પોન્સ સેલ છે. 1995માં ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પહેલી ભાજપ સરકાર રચાઈ ત્યારે આ સેલની રચના કરવામાં આવી હતી. આ સેલની રચનાનો ઉદ્દેશ કોઈ પણ ગુનાને લગતી માહિતી મળે કે તરત કાર્યવાહી કરવાનો હતો કે જેથી ગુનાને અટકાવી શકાય. આર.આર. સેલની મુખ્ય કામગીરી દરોડા પાડવાની હતી. આર.આર. સેલ જિલ્લા પોલીસ તંત્રથી સ્વતંત્ર કામગીરી કરતું હતું. દારૂબંધીના કાયદાનો ભંગ, જુગારધામો કે અન્ય અનૈતિક ધંધા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેને રોકવા માટે આ સેલ દરોડા પાડતું હતું. તેના કારણે ઘણી વાર જિલ્લા પોલીસ તંત્ર સાથે સંઘર્ષ પણ થતો કેમ કે આર.આર. સેલ સીધું રાજ્યના પોલીસ વડાની નજર હેઠળ કામ કરતું હતું. હવે રાજ્ય સરકાર આર.આર. સેલને બંધ કરીને જિલ્લાના પોલીસ વડાને વધારે સત્તા આપી રહી છે.