• નિકાવા તથા એ.પી.એમ.સી. કાલાવડ ખાતે કાર્યક્રમ યોજાયા
  • એ.પી.એમ.સી કાલાવાડ દ્વારા તાલુકાના દરેક ખેડૂતને ₹.૫ લાખનો અકસ્માત વીમો

જામનગર તા. ૧૭ જાન્યુઆરી, કૃષિ અને વાહનવ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુના હસ્તે કાલાવડ તાલુકાના નિકાવા અને કાલાવડના નવા એ.પી.એમ.સી. ખાતે કાલાવડ તાલુકાના ૭ ગામના ખેડૂત પરિવારોને ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ₹.૫ લાખના ચેક અર્પણ કરાયા હતા.

એ.પી.એમ.સી.કાલાવડ દ્વારા કાલાવડ તાલુકાના અંદાજિત ૭૮૦૦૦ જેટલા ખેડૂત ખાતેદારો, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ, મજૂરો, કર્મચારીઓ અને સભ્યશ્રીઓ માટે અકસ્માત વીમા યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ ૫ લાખની વીમા પોલીસી લેવામાં આવેલ છે. જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય તો વિમાની રકમ દ્વારા ખેડૂત પરિવારનો આધાર બની શકાય તે સંવેદના સાથે એ.પી.એમ.સી દ્વારા આ પોલીસી કાર્યરત છે.

આજરોજ ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત નિકાવા ખાતે પાતામેઘપર, નાના વડાળા અને નિકાવા ગામના ૩ લાભાર્થીઓને તેમજ કાલાવાડ નવા એ.પી.એમ.સી ખાતે નાનીવાવડી, શનાળા, વજીર ખાખરિયા અને બાંગા ગામના ૪ લાભાર્થીઓને કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુના હસ્તે ₹ ૫ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, કાલાવડ તાલુકાના કુલ ૭ ખેડૂત લાભાર્થી પરિવારોને કુલ ₹ ૩૫ લાખની રકમના ચેક આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગાંડુભાઇ ડાંગરિયા, એસ.ટી. નિગમના પૂર્વ ડાયરેક્ટર શ્રી વલ્લભભાઈ સાંગાણી, એ.પી.એમ.સી. કાલાવાડના ચેરમેનશ્રી યુવરાજસિંહ જાડેજા, એ.પી.એમ.સી.કાલાવડના ડાયરેક્ટર શ્રી નરેશભાઈ સિંગલ, સભ્યશ્રી અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કશ્યપભાઈ વૈષ્ણવ, જિલ્લા ભાજપ મંત્રી શ્રી મનોજભાઈ જાની, એ.પી.એમ.સી.ના સભ્યશ્રી જમનભાઈ તારપરા, સેક્રેટરી શ્રી રમણીકભાઇ ગધેથરીયા, કાલાવડ નગરપાલિકા પ્રમુખશ્રી અજમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી ભુપતભાઇ વિરાણી, સરપંચ શ્રી નિકાવા રાજુભાઈ મારવીયા, ભાજપ અગ્રણી શ્રી પી. ડી.જાડેજા તથા પાતામેઘપર, નાના વડાળા, બાંગા, શનાળા, નાનીવાવડી, વજીર ખાખરીયા ગામના સરપંચશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.