જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.20 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળિયા નગરપાલિકા ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ચાલે છે. જિલ્લાનું વડું મથક અને વિકાસની દ્રષ્ટિએ હજુ ઘણું ખૂટે છે તેમ કહી શકાય આવી પાલિકામાં સરકાર દ્વારા નિયમિત ચીફ ઓફિસર ના મુકાતા વિકાસના કામમાં વિલંબ અને વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ સુર ઉઠ્યો છે.

નગરપાલિકા દ્વારા ખંભાળિયા સ્મશાન ભૂમિમાં પ્રાર્થના સભા હોલ બનાવવા બાબતે તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણો દૂર થવા બાબતે અને લોકોમાં જનજાગૃતી આવે એવા હેતુથી નગરપાલિકા કચેરી સામે ચાર મહિના જેટલાં સમયથી અહીંના સામાજીક કાર્યકર અને લોહાણા અગ્રણી નટુભાઈ ગણાત્રા આંદોલન પર ઉતર્યા છે. નટુભાઈ ગણાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ ઘુસી ગયા હોવાના મોટા મોટા બેનર લગાવ્યા છે. ચારેક મહિનાથી નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસ પર બેઠેલા નટુભાઈ ગણાત્રાની ધીરજ ખૂટતા તેઓ ફેસબુક લાઈવ થઈને નગરપાલિકા કચેરીમાં ઘુસ્યા હતા અને નગર સેવા સદનને બદલે નગર ભ્રષ્ટ સદન અહીં છે તેવો આક્ષેપ કર્યો હતો આ સિવાય ચીફ ઓફિસરની ગેર હાજરીથી નાગરજનોના કામોમાં પારાવાર મુશ્કેલી અને વિલંબ થાય છે. અને સુવિધાઓના નામે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરી હતી. સાથે જ તેઓ કંટાળીને રાડો પાડતા પાલિકામાં પ્રવેશ કરતા જણાવ્યું હતું કે હું મારાં કામ માટે આવુ છું તમારા ચીફ ઓફિસર ને બોલાવો ચીફ ઓફિસર ના હોય તો તેમના બદલામાં બીજા કોઈને બોલાવો અને કોઈ ના હોય તો મારૂ કામ મને જાતે જ સહી કરી કરવા દયો આવા વિરોધ સાથે તેઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેસી ચીફ ઓફિસરની ખુરસી પર બેસી અને પાલિકાના કર્મચારીઓને પડતર ફાઈલો અંદર લઇ આવો હું ચીફ ઓફિસર તરીકે સહી કરી દઉં તેમ કહી અજુગતો વિરોધ નોંધાવ્યો હતો.

બનાવ બાદ નટુભાઈ ગણાત્રા સાથે અમારી વાત થતા તેમણે જણાવ્યું હતું કે પાલિકા સામે વિવિધ પ્રશ્નોને લઈને હું લાંબા સમયથી આંદોલન પર છું પાલિકા ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતી નથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નાયક ફિલ્મમાં અભિનેતા એક દિવસ માટે સીએમ બનીને લોકોના કામ કરે છે તેમ હું પાલિકાથી કંટાળી એક દિવસ ચીફ ઓફિસર બનવાનો ભાવ રજૂ કરીને મારી વ્યથા તંત્ર સુધી પહોંચાડવા ગયો હતો. નગરપાલિકા વિસ્તારનું એક બિન વારસુ મકાન જે પાલિકા સાથે મળીને એક ટોળકી પોતાના નામે કરી લેવાની ફિરાકમાં છે તે અંગે પૂરતા પુરાવા પાલિકાને આપ્યા છતાં પાલિકા તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરતુ નથી. હિંદુ સમાજના રીતરિવાજ મુજબ સ્મશાનએ ફક્ત અગ્નિદાહ અપાઈ છે પ્રાર્થના ત્યાં થતી નથી છતાં પાલિકા કરોડો રૂપિયા વેડફી ત્યાં સ્મશાનએ પ્રાર્થના હોલ બનાવવા માંગે છે જયારે શહેરમાં અનેક હોલ, સમાજ વાડી પ્રાર્થના કરવા માટેના છે. આવા અનેક કામોમાં નજરે દેખતા ભ્રસ્ટાચાર થાય છે છતાં પાલિકા બેજવાબદારી પૂર્વક વર્તી રહ્યું છે એનો વિરોધ છે.