• નવો ફ્લાયઓવર-પાણી ની યોજના-વિજ્ઞાન ભવન-રાત્રિ બજાર વગેરે ની જાહેરાત કરાઈ.


જામનગર મોર્નિંગ - જામનગર.૧૫, જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકોની ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાશે. જેના માટે ભાજપ દ્વારા પુરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આજે જામનગર શહેર ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ ને લઈને સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવનારા દિવસોમાં જામનગર શહેર ને ૧૯૭ કરોડના ફ્લાયઓવર, ૧૦૦ કરોડની પાણીની યોજના, વિજ્ઞાન ભવન, નવું સ્પોર્ટ્સ સંકુલ, રેલવે ઓવરબ્રિજ, રસ્તા પહોળા કરવા, તેમજ રાત્રી બજાર સહીત ની અનેક જાહેરાતો કરવામાં આવી છે. આવનારા પાંચ વર્ષોમાં જામનગર શહેરની જનતાને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે તો કયા કયા કામો કરવામાં આવશે, તે અંગે વચનો અપાયા છે.
 આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે. સતત પાંચ ટર્મથી જામનગરની પ્રજા એ ભાજપની વિકાસ લક્ષી- પ્રજાલક્ષી અને કાર્યલક્ષી રાજનીતિને સ્વીકારી શાસનના સૂત્રો આપ્યા છે. છઠ્ઠી ટર્મમાં પણ જામનગરની સમજુ પ્રજા ભાજપમાં જ સંપૂર્ણ વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી જીતાડશે જ,તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. 
ભારતીય જનતા પાર્ટી પણ પ્રજાના આ વિશ્વાસને અને વિકાસ લક્ષી સ્વપ્ન ને સંપૂર્ણ સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ રજૂ કરે છે. "ભાજપ જે કહે છે તે કરે છે" એ નીતિ અનુસાર આગામી પાંચ વર્ષમાં જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પો આજે રજુ કર્યા છે.
 જામનગર શહેરના પ્રવેશદ્વાર સમા સુભાષ બ્રિજ થી શહેર ની ટ્રાફિક સમસ્યા હળવી કરવા સાડા ત્રણ કિ.મી. લાંબા ફ્લાયઓવર નું નિર્માણ કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લાંબો ઓવરબ્રિજ કે જેનું ખાતમૂહર્ત થઇ ચૂકયું છે. આ ઓવરબ્રિજ સુભાષ બ્રિજ થી થઈ સાત રસ્તા સર્કલ થી છેક ઓશવાળ સેન્ટર સુધી લંબાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ માટે ૧૯૭ કરોડની જંગી રકમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત દિગ્જામ સર્કલ થી ખેતીવાડી- એરફોર્સ રોડ ના ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂરું કરી લોકાર્પણ કરવામાં આવશે. લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તેમજ ઠેબા ચોકડી પાસેના ઓવરબ્રીજનું (કાલાવડ બાયપાસ) નિર્માણ કરવામાં આવશે.
શહેર ની ટ્રાફિક સમસ્યા હળવી કરવા રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવી જામનગરને ફાટક મુક્ત બનાવવામાં આવશે. બેડી બંદર રિંગરોડ પૂર્ણ કરવામાં આવશે. જામનગર ની વસ્તી અને વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યા નિવારવા ડીપી- ટીપી કપાત કરી રોડ પહોળા કરવામાં આવશે. સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી ફોર લેન રોડ બનાવી સુંદર લાઈટિંગથી શણગારવામાં આવશે. 
જામનગરમાં સામેલ થયેલા નવા વિસ્તારોમાં ઝડપથી ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવાશે. લાલપુર રોડ ને હાપા માર્કેટ યાર્ડ આસપાસ આધુનિક બે નવા ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.
 જામનગરને વર્ષોથી રમતગમત ક્ષેત્રે અનેરો સંબંધ છે, અને વિશ્વ વિખ્યાત ક્રિકેટરો જામનગરે દેશને આપ્યા છે. રમતગમતની આ ભૂમિ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જે નવી પેઢીના રમતવીરો ને પ્રેરણારૂપ બની રહેશે. આ ઉપરાંત એક વધુ અદ્યતન સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવામાં આવશે.
 કોંગ્રેસના શાસનમાં વકરેલી પાણી સમસ્યા ભાજપ શાસનમાં આવતાં જ દૂર થઈ ગઈ છે. આગામી પાંચ વર્ષમાં જામનગરમાં ભળેલા નવા વિસ્તારોને આવરી લઇ સમગ્ર જામનગરની પ્રજા ને સ્વચ્છ પાણી નિયમિત મળી રહે તેવા સંકલ્પ સાથે આયોજન કરવામાં આવશે.
 રખડતા ઢોર, પથારા, રેકડી, ગુજરી બજાર, ઝુપડપટ્ટી નિર્મૂલનની દિશામાં રચનાત્મક અને હકારાત્મક અભિગમ અપનાવીને તે દિશામાં સૌને સાથે લઈને આયોજન કરવામાં આવશે.
જામનગર ને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમ પરથી પંપ હાઉસ સુધી નવી ડી.આઈ. પાણીની પાઇપ લાઇન નાખવામાં આવશે, તેવી જ રીતે ખીજડીયા સમ્પ થી નવાગામ (ઘેડ) સુધી પણ પાણી માટે ડી.આઈ. રાઇઝિંગ પાઇપ નાખી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સરળ કરવામાં આવશે. ખંભાળિયા રોડ પર પાણી નો નવો એક ઇ.એસ.આર. અને ગુલાબ નગર, શંકર ટેકરી ખાતે સંપ નું નિર્માણ કરવામાં આવશે. વાલસુરા મરીન પોલીસ ચોકી પાસે મીઠા પાણીનું તળાવ અને રણજીત સાગર ડેમ ને સ્ટ્રેન્ધનિંગ કરવામાં આવશે.
 જામનગર શહેરને વધુ એક સ્મશાન ની જરૂરિયાત હોવાથી લાલપુર બાયપાસ પાસે આધુનિક ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવશે. ઉપરાંત ઐતિહાસિક ધરોહરને જાળવવા પ્રાચીન ભુજીયા કોઠા ને તેના મૂળ સ્વરૂપમાં લાવી આધુનિક લાઇટોથી શણગારવામાં આવશે, તેવી જ રીતે બાલ્કન-જી-બારી વાળી જગ્યા એ ભારતમાતા ના મંદિર સાથે આધુનિક સાયન્સ- ટેકનોલોજી આધારિત પાર્ક અને તળાવની આસપાસ ખગોળ વિજ્ઞાન (તારામંડળ) જ્ઞાનવર્ધન સેન્ટર બનાવવામાં આવશે.
 કબીર લહેર તળાવને રમણીય બનાવાશે, તળાવની પાળ પર ના હાલના ઓપન એર થિયેટર ને વિશેષ રીતે આધુનિક ઓપ આપવામાં આવશે. રોડ રસ્તા પહોળા કરી ટ્રાફિક હળવો કરવાના ધ્યેય થી કનસુમરા પાટીયા રોડ તરફ જવાના ડી પી રોડ નું આયોજન, પાબારીહોલ જવા માટે સી.સી.રોડ નું આયોજન, જામનગરમાં નવા જોડાયેલા વિસ્તારોમાંથી પણ ડી.પી. રોડ ખુલ્લા કરવામાં આવશે. હરવા ફરવાના સ્થળ રણજીત સાગર જવાના માર્ગે, રંગમતી નાગમતી નદી પરના બેઠા પુલ ને ઊંચો અને પહોળો બનાવવામાં આવશે. બેડેશ્વર ઢિચડા રોડ પર ઉદ્યોગ એકમોને પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા અપાશે.
 જામનગરની પ્રજા ને રાત્રે પણ ચા-નાસ્તો મળી રહે તે હેતુ થી રાત્રી બજાર નું આયોજન પણ વિચારાયું છે. શહેરમાં રોડ અને વિસ્તારોને તેના નામ પ્રમાણે ની ઓળખ આપવા નામના બોર્ડ લગાવવા નું આયોજન છે.
જામનગર શહેર ભાજપ દ્વારા સંકલ્પ પત્ર ની ઘોષણા સમયે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ અને ચૂંટણી ઈનચાર્જ હસમુખ હિંડોચા, પૂર્વ અધ્યક્ષ મુકેશ દાસાણી, પૂર્વ મેયર દિનેશ પટેલ, મહામંત્રી પ્રકાશ બાંભણિયા તથા મેરામણભાઈ ભાટુ વગેરે હાજર રહ્યા હતા.