જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬, જામનગરમાં શનિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ની બે ચૂંટણી સભાઓ યોજાઇ હતી. જે ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રી ના સંપર્ક માં આવેલા રાજ્યના બે મંત્રી, સાંસદ, પક્ષ પ્રમુખ સહિતના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામ ના રિપોર્ટ નેગેટીવ આવતાં હાશકારો થયો છે.
 જામનગરમાં શનિવારે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની સૌ પ્રથમ સભા ધન્વંતરી ગ્રાઉન્ડમાં અને ત્યાર પછી બીજી સભા ચાંદી બજાર ના ચોકમાં યોજાઇ હતી. જે સભાના કાર્યક્રમ પછી બીજા દિવસે વડોદરામાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત નાદુરસ્ત થઈ હતી, અને તેઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
 જેથી મુખ્યમંત્રી સાથે સંપર્કમા આવેલી તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ મુખ્યમંત્રી ના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સંપર્કમાં આવેલા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
 જામનગર શહેર ભાજપના કાર્યાલયમાં ગઈકાલે કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, તેમજ રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપરાંત શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા વગેરેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. સાથો સાથ મુખ્યમંત્રી ના સ્ટેજ પ્રોગ્રામમાં જોડાયેલા અન્ય હોદ્દેદારો એ પણ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી કરાવી હતી. જોકે તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી હાશકારો થયો છે.