જામનગર મોર્નિંગ - દ્વારકા તા.13 : ભાટિયા હર્ષદ રોડ રેલવે સ્ટેશન ફાટક આગળ પીજીવીસીએલનો વાયર તૂટતા ટ્રેનના એન્જીનના આગળના ભાગે ફસાતા ચાલકની જાગૃતતાના કારણે મોટી જાનહાની ટળી હતી.
આ અંગેની વિગત મુજબ 7:45 વાગ્યાના અરસામાં ભાટિયા-હર્ષદ રેલવે ટ્રેક પરથી પસાર થતી ઓખા-અરનાકુલમ ટ્રેનના એન્જીન ઉપર પીજીવીસીએલનો વાયર તૂટીને પડતા ફસાયો હતો. જેથી ચાલક દ્વારા જાગૃતતા દાખવી ટ્રેનને તાત્કાલિક અટકાવવા માટે બ્રેક મારી હતી અને ચાલકની જાગૃત્તતાને કારણે એન્જીનમાં ફસાયેાલ વાયરો સાથે ટ્રેન 100 મીટર સુધી દોડી ચાલી હતી. જો કે, સદનસીબે ઈલેકટ્રીક વાયરનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી વીજ સપ્લાય બંધ હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા રિપેરીંગ કામ કરી દોઢ કલાકની જહેમત બાદ વાયરો દૂર કરવામાં આવ્યાં હતાં અને આ દોઢ કલાક દરમિયાન ભાટિયા નજીક ત્રણ રેલવે ફાટકો બંધ રાખવામાં આવ્યાં હતાં. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.