• બે દિવસ પહેલાં વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવાયેલી કેન્ટીન વાળી જગ્યામાં કરાયો પ્રારંભ

જામનગર તા. ૪ ,   હાલ અતિ કોવિડ સંક્રમણ ના કારણે સરકારી દાવાખાનાઓમાં દર્દીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ કોવિડ સહિતના રોગોના દર્દીઓની ઓ.પી.ડી. સંખ્યામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે ત્યારે જી.જી. હોસ્પિટલ દ્વારા દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તેમજ કોરોના સંક્રમણ પણ ફેલાતું અટકે તે હેતુથી જી.જી. હોસ્પિટલમાં જ નવી ફ્લૂ ઓ.પી.ડી. શરૂ કરી એક નવતર પહેલ આરંભાઈ છે. 


       આ અંગેની વધુ વિગતો આપતા ડીન  નંદિની દેસાઈએ જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં હાલ કોવિડ સંક્રમણના થયેલ વધારાને કારણે દૈનિક અંદાજે ૭૦૦ દર્દીઓની ઓ.પી.ડી. રહે છે જેમાં પ૦ ટકા ઉપર ક્રિટિકલ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. આથી અત્યારે હોસ્પિટલમાં એવા દર્દીઓ કે જેઓને માત્ર તાવ-શરદી કે ઉધરસની સામાન્ય તકલીફ છે, તેઓને સારવાર અંગે કોઈ હાલાકી ન પડે તે હેતુથી તેઓ માટે એસ.બી આઈ. એ.ટી.એમ.ની સામે જુની કોલેજ કેન્ટીન વાળી જગ્યા કે જે જગ્યા બે દિવસ પહેલાજ વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવાઇ હતી, જેમાં અલાયદી ઓ.પી.ડી.ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઓ.પી.ડી.નો સમય સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે જેનો જાહેર જનતાને લાભ લેવા ડીન શ્રી દ્વારા અનુરોધ કરાયો છે.