દક્ષિણ આસામના બજરંગ દળના કાર્યકરની હત્યા સામે પાઠવ્યું આવેદનપત્ર: બજરંગ દળે જામનગરમાં આતંકવાદનું શ્રાદ્ધ પણ કર્યું

જામનગર મોર્નિંગ - જામનગર 

દક્ષિણ આસામના કરીમગંજ જિલ્લાના લોવિપુરા બજરંગ દળના કાર્યકર શંભુ કૈરી અને આ ઉપરાંત 9 જેટલા કાર્યકર્તાઓની છેલ્લા બે વર્ષમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ જેહાદી તત્વોના ષડયંત્ર ખુલી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જામનગરના બેડીગેઈટ વિસ્તારમાં બજરંગ દળ ના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ આતંકવાદ વિરોધી સૂત્રોચારો કર્યા હતા અને આ ઉપરાંત આતંકવાદના પૂતળા પર બજરંગ દળના કાર્યકરોએ થૂંકીને શ્રાદ્ધ કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપર થઈ રહેલા હુમલાને વખોડી તાત્કાલિક પગલાં લેવાની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

જામનગરમાં આતંકવાદ વિરોધી દેખાવોના કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગ દળના જામનગર વિભાગ સંયોજક સંજયસિંહ કંચવા, જિલ્લા સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્વા, ગૌરક્ષા સંયોજક ધમભા વાળા સહિતના અગ્રણી કાર્યકરોએ જોડાઈને કેન્દ્ર સરકાર પાસે ધૃણા ફેલાવનાર અને ભડકાવાળા મુલ્લા મૌલવીઓ તેમજ નેતાઓ સામે કાર્યવાહી કરી નિયંત્રણ લાવવા ઉપરાંત દેશ વિરોધી સંગઠનો પર પ્રતિબંધ લાદી કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે .