જામનગરમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવની હાજરીમાં લોક દરબાર

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની આગેવાનીમાં લોક દરબાર યોજાયો: અનેક લોકોએ ફરિયાદ કરી 

જામનગર મોર્નિંગ - જામનગર



જામનગર જિલ્લામાં અને તાલુકામાં ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં સીટી એ ડિવિઝન દરબાર ગઢ સર્કલ ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અનેક આગેવાનો તથા વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પોતાની મિલ્કતો ગુમાવનારા લોકોએ રડતી આંખોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવવા માટે કહ્યું હતું.

ત્યારે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે વ્યાજના ધંધા કરનારાઓને સાનમાં સમજી જવાનો ઈશારો આપતા કહ્યું હતું કે કાં તો વ્યાજના ધંધા બંધ કરો નહીં તો ગામ છોડી દો, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ફરિયાદ આવશે એટલે પોલીસ તમને છોડશે નહીં અને ફરિયાદ કરનારા લોકોને નિર્ભય બની ફરિયાદ કરવા હિંમત આપી હતી અને ફરિયાદ બાદ તાત્કાલિક એક્શન લેવાનું આશ્વાસન આપ્યું હતું.