જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ચાર શખ્સો દ્વારા વીજ ચેકિંગમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

     આ અંગે જામનગરમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા કિશોરભાઈ દેવશીભાઈ કોચરા (ઉ.વ. 38) દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ગઈકાલે ગુરુવારે ફરિયાદી કિશોરભાઈ તથા અન્ય કર્મચારીઓ વીજ ચેકિંગ અંગેની કામગીરી માટે ગયા હતા, ત્યારે રાણ ગામના ભાવેશ ઉર્ફે ભીમાભાઈ રણમલભાઈ હડિયલ, નિકુંજ હડિયલ, યોગેશ હડિયલ અને મોહન લીરાભાઈ ડાભી નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી કિશોરભાઈનો કાંઠલો પકડી, લાતો વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કરી હતી.

    આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 332, 186, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.