જામનગર મોર્નિંગ - જામનગર


  

જામનગરના ખીમલીયા ગામમાં આવેલી એક જમીન સતવારા શખ્સે બે આસામીઓને વહેંચી નાખી છેતરપીંડી આચરતા પંચ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતા વિરજી રામજીભાઇ કટેશીયાએ તેમની ખીમલીયા ગામ રેવન્યુ સર્વે નં. ૨૬ પૈકી ૪ જુના સર્વે નં. ૧૫૪ પૈકી ૧, પાદરડુ તરીકે ઓળખાતી ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ ૦-૭૭-૯૯ હે.આરે.ચો.મીટરની ૫ વિધા જમીન આવેલી છે. આ જમીનનો સોદો તેણે મુળ હડિયાણા અને હાલ સ્વામીનારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ નડીયાપરા સાથે રૂ. ૧૨ લાખમાં કર્યો હતો અને ગત તા. ૧૨-૭-૨૨ના રોજ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાર કરી આપેલ અને છ માસમાં જમીન સોદાની બાકીની રકમ ચુકતે આપી ફરીયાદી શૈલેષભાઇને રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની લેખીત બાહંધરી આપી હતી.

આ દરમ્યાન આરોપી વિરજી કટેશીયાએ ફરીયાદીની જાણ બહાર મુદત પહેલા ગત તા. ૯-૯-૨૨ના રોજ અન્ય વ્યકિતને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી ફરીયાદી સાહેદ આરોપીના ગામે જતા આરોપીએ તેને ફરી પાછા અહીં આવશો તો જીવતા જશો નહીં તેવી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરાંત ફરીયાદી શૈલેષભાઇને આરોપી વિરજીએ લીધેલી રકમ પરત નહીં આપી તથા દસ્તાવેજ નહીં આપી તેની સાથે વિશ્ર્વાસઘાત-છેતરપીંડી કરી હતી. દરમ્યાન મંગળવારે સ્વામીનારાયણ નગર શેરી નં. ૮માં ગોપીયાણી મંડપ સર્વિસવાળી ગલીમાં છેલ્લે રહેતા અને ખેતી તથા વેપાર કરતા શૈલેષ હંસરાજભાઇ નડીયાપરા દ્વારા પંચ-બીમાં ખીમલીયા ગામના વિરજી રામજી કટેશીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએએસઆઇ એમ.એ. મોરી ચલાવી રહયા છે.