જામનગરની ઐતિહાસિક શાક માર્કેટમાં દિવાળીના ફટાકડાના કારણે આગ: શાક માર્કેટને ભારે નુકસાની

ફાયર બ્રિગેડની ટુકડીએ સતત ચાર કલાકની જહેમત લઈ પાણીના ૧૨ ટેન્કરો ની મદદથી આગને બુજાવી: માર્કેટનો કેટલોક હિસ્સો બચાવ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં દિવાળીની રાત્રે ૩૩ સ્થળે આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ નવા વર્ષના દિવસ સુધીમાં કુલ આગ લાગવાના ૪૮ બનાવોને બન્યા હતા, અને તમામ સ્થળે ફાયર શાખાએ આગને કાબુમાં લીધી હતી.

જામનગરની ઐતિહાસિક સુભાષ શાકમાર્કેટ કે જેમાં નવા વર્ષના પ્રારંભે પરોઢિયે ફટાકડાના કારણે આગ લાગી હતી, અને આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શાક માર્કેટનો મોટો હિસ્સો બળીને ખાખ થયો હતો, પરંતુ ફાયરે માર્કેટનો અન્ય કેટલોક ભાગ બચાવ્યો હતો. 

આગના આ બનાવની વિગત એવી છે કે નવા વર્ષના પ્રારંભના પરોઢિયે ૪.૩૦ વાગ્યાના અરસામાં માર્કેટના અંદરના ભાગમાં સળગતો ફટાકડો પડવાના કારણે આગ લાગી હતી, અને માર્કેટની અંદર રાખવામાં આવેલો લાકડાનો જથ્થો, કંતાંનના ઢગલા, તેમજ શાક ભરવા માટેના પ્લાસ્ટિકના કેરેટ વગેરે સળગી ઊઠ્યા હતા, અને જોતજોતામાં જ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની એક ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોઈને અન્ય પાંચ ફાયર ફાઈટરને બોલાવી લેવાયા હતા, અને સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ૧૨ જેટલા પાણીના ટેન્કરની મદદ લઈને આગને બુઝાવી દીધી હતી. જો કે તે પહેલાં શાક માર્કેટ નો મોટો હિસ્સો બળીને ખાખ થયો હતો. જયારે ફાયરે બાકીનો કેટલોક હિસ્સો બચાવી લીધો હતો.

આગ બનાવની જાણ થતાં વિજ તંત્રની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેના કારણે આગના લબકારા જોઈને આસપાસના વિસ્તારના લોકો સફાળા જાગી ગયા હતા, અને બહોળી સંખ્યા માં એકત્ર થયા હતા. જોકે આગ કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આગના કારણે શાક માર્કેટના અનેક વેપારીઓને ભારે નુકસાની થઈ છે.

 

-શહેરમાં દિવાળી- નવા વર્ષના તહેવારો દરમિયાન આગ લાગવાનો આંકડો ૪૮નો થયો-

જામનગર શહેરમાં દિવાળીની રાત્રે આગ લાગવાની ૩૩ ઘટના બની હતી, અને ફાયર શાખાની ટીમે વહેલી સવાર સુધી દોડધામ કરીને તમામ સ્થળે આગને બુઝાવી હતી. ત્યારબાદ ધોકાના દિવસ અને નવા વર્ષના પ્રારંભના દિવસ સુધી ફૂલ ૪૮ સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર ફાયરની ટુકડીએ સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી કોઈ જાનહાની થઈ ન હતી, અથવા તો વધુ નુકસાની થતી અટકી હતી.