જામનગર મોર્નિંગ - જામનગર

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા ૧૫૫ કેન્દ્રો પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાયો છે, જેની સાથે સાથે જામનગરમાં પણ દિગ્જામ સર્કલ પાસે આવેલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં ૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ઉપસ્થિતિમાં આજે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિગજામ ઓવરબ્રિજ નીચે ખેતીવાડીના ગેઇટ પાસે શરૂ કરાયેલા અન્નપૂર્ણા કેન્દ્રમાં વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ સૌપ્રથમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનું સ્વાગત કર્યું હતું. તેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના દંડક કેતનભાઇ નાખવા તેમજ પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ચાવડા જોડાયા હતા.

ધનતેરસના પવિત્ર દિવસે સવારે ૯.૦૦ વાગ્યે સમગ્ર રાજ્યના એક સાથે ૧૫૫ કેન્દ્રોની સાથે સાથે જામનગરના આ કેન્દ્રમાં પણ માત્ર પાંચ રૂપિયા શ્રમિકને અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પિરસવામાં આવ્યું હતું, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીયા તથા અન્ય અગ્રણીઓએ જાતે જ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું ,અને અન્નપૂર્ણા યોજનાનો વિધિવત પ્રારંભ કરાયો હતો.

જામનગર શહેરમાં જુદા જુદા દસ જેટલા સ્થળો પર અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરાયા છે, અને શ્રમીક અને તેના પરિવારજનોને માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ પૌષ્ટિકએ ભો જન મળી રહે અને સપ્તાહમાં એક દિવસ મીઠાઈ પણ પીરસવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.