જોડીયાના માવનુ ગામમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીની ટુકડીએ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો 

રૂપિયા ૧.૨૩ લાખનું સોનુ અને રોકડ સહિતની ચોરાઉ સામગ્રી સાથે માળીયા મીયાણાના એક તસ્કરને ઝડપી લીધો: ચોરીમાં સંડોવાયેલી એક મહિલા સહિત અન્ય બે તસ્કરોની પોલીસ દ્વારા શોધખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં રહેતા એક ખેડૂતના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખીને એક તસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ અને સોનુ સહિત તમામ ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે. ત્યારે તેની સાથે ચોરી કરવા માટે આવેલા અન્ય એક દંપતીને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દયાળજીભાઈ પેથાભાઇ રામપરિયા નામના ખેડૂતના બંધ રહેણાંક મકાનમાંથી ધોળે દહાડે ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા ૧.૨૩ લાખનું સોનુ તેમજ ૮,૧૦૦ની રોકડ રકમ સહિતની માલમતા ચોરી ગયા હતા. જે અંગેની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવ્યા પછી એલસીબીની ટુકડી હરકતમાં આવી હતી, અને એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયા તેમજ પીએસઆઇ પી.એન. મોરી અને એ. કે. પટેલની રાહબરી હેઠળ સમગ્ર એલસીબીની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને બાતમી મળતા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

માળીયા મીયાણા વિસ્તારમાં રહેતા રૂપસિંગ ઉર્ફે રૂપલો રસિકભાઈ રાઠોડ નામના તસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરીમાં ગયેલું ૧.૨૩ લાખનું સોનું અને ૮,૧૦૦ની રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે. તેની સાથે ચોરી કરવા માટે આવેલા અજય હિંમતભાઈ રાઠોડ અને રોમાબેન અજયભાઈ રાઠોડ નામના દંપત્તિ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

એલસીબીની ટુકડીએ ચોરીનો ભેદ ઉકેલવા બે દિવસના રાત ઉજાગરા કરીને ૪૦ સીસીટીવી કેમેરા તપાસ્યા

જોડીયાના માવનું ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમેં બે દિવસના રાત ઉજાગરા કર્યા હતા, અને એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ કાસમભાઇ બ્લોચ કે જેઓએ જ્યાં ચોરી થઈ હતી, ત્યાંથી અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરવાનું શરૂ કર્યું હતું, તેમ જ એક ડમ્પરનો અવરજવર કરવા માટેની કળી મળી હતી, તેના આધારે ટોલનાકા પરથી ડમ્પરના નંબરો મેળવ્યા હતા, ત્યારબાદ અલગ અલગ ૪૦થી વધુ સીસીટીવી કેમેરાઓ ચકાસયા હતા, જેના આધારે તસ્કરોને શોધવામાં સફળતા મળી હતી, અને આખરે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

ભિક્ષા વૃતિ કરવાના બહાને ત્રણેય તસ્કરોએ રેકી કરીને ચોરીને અંજામ આપ્યો

તસ્કર ટોળકી દ્વારા દિવસ દરમિયાન ભિક્ષાવૃત્તિ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓને ઉપરોક્ત મકાન બંધ જણાયું હતું જેથી તે બંધ મકાનમાં ત્રાટકયા હતા, અને ચોરી કરીને એક ડમ્પર ની મદદથી તેઓ પરત માળીયા મીયાણા ભાગી છૂટ્યા હતા, પરંતુ એલસીબીની ટુકડીએ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કરને પકડી લેવામાં સફળતા મેળવી હતી.