જામનગરના પ્રાધ્યાપકની સાથે રૂ. 4.61 લાખની છેતરપીંડી, બેંકની વિગતો મેળવી અજ્ઞાત શખ્સે ધુંબો માર્યો

જામનગર મોર્નિંગ - તા.૧૪ : જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા એક પ્રાધ્યાપકને કોઈ અજ્ઞાત શખ્સોએ મોબાઈલ ફોન મારફતે બેંક અધિકારીના નામે ઓળખ આપી બેંક ખાતાની વિગતો મેળવી લઇ બેંકમાંથી રૂ. 4.61 લાખની રોકડ રકમ બેંક ખાતામાંથી ઉપાડી લઇ ઓનલાઇન છેતરપીંડી કર્યાની પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં વાલ્કેશ્વરી નગરીમાં આસ્થા એવન્યુમાં રહેતા અને પ્રાધ્યાપક તરીકે ફરાહ બજાવતા જયસુખભાઇ નરોત્તમભાઇ નારિયાને તા. 26-11-18ના દિવસે પોતાના મોબાઈલ નં. 6291398665 નંબરના મોબાઈલ ફોન ધારક અજ્ઞાત શખ્સોનો ફોન આવ્યો હતો અને પોતે બેંકના અધિકારી છે તેવી ઓળખ આપી બેંક ખાતાની વિગતો અને ટીપી નંબર તેમજ ક્રેડિટ કાર્ડની વિગતો મોબાઈલ ફોન ઉપર ટ્રાન્સફર કરાવી લીધી હતી. 
ત્યાર પછી ઉપરોક્ત અજ્ઞાત શખ્સે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે જયસુખભાઇના ખાતામાંથી 416885ની રકમ ઉપાડી લઇ ઓનલાઇન છેતરપીંડી આચરી હતી જે અંગેની જયસુખભાઈને માહિતી મળતા તેઓએ ઉપરોક્ત મોબાઈલ ફોન ધારક અજ્ઞાત શખ્સ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 406, 420 તેમજ આઇટી એક્ટ 2000ની કલમ 66 ડી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.