દુકાળગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા અનુદાન માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી ઑનલાઇન પ્રક્રિયાના ગોટાળાને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ વખોડી હતી

જામનગર મોર્નિંગ. રાજ્ય સરકાર દ્વારા ૧૫૧ તાલુકામાં દુકાળગ્રસ્ત ખેડૂતો માટે ફાળવેલી ૨૩૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય યોગ્ય રીતે મળી છે કે નહીં અને ખેડૂતોની સમસ્યાનો મહત્વનો મુદ્દો સોમવારે બાંદરાના માતોશ્રીમાં શિવસેનાના વડાના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકનો મુખ્ય એજન્ડા હતો જેમાં પાર્ટીના દરેક સાંસદ અને વિધાનસભ્યને તેમના વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવા પર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાર મૂક્યો હતો. દુકાળગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા અનુદાન માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી ઑનલાઇન પ્રક્રિયાના ગોટાળાને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ વખોડી હતી.
શિવસેના પૂરેપૂરી શક્તિ સાથે ચૂંટણી લડવા તૈયાર છે અને વિજય પણ હાંસલ કરશે એમ જણાવીને ઉદ્ધવ ઠાકરેના નજીકના હર્ષદ પ્રધાને કહ્યું હતું કે ‘અત્યારે મહત્વનો મુદ્દો ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મળનારી આર્થિક સહાયનો છે. ‘ઑનલાઇન’ પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે આર્થિક સહાયનો આંકડો મોટો છે, પરંતુ ખેડૂતોના ખાતામાં જમા થયેલો આંકડો ખોટો હોય એ જરાય સાંખી લેવામાં નહીં આવે. BJP સાથે યુતિનો મુદ્દો શિવસેનાના વડાનો વિષય છે. હજી સુધી BJPએ યુતિ સંદર્ભે પાર્ટી સાથે કોઈ બેઠક કરી નથી. ગયા વર્ષે BJPના પ્રેસિડન્ટ અમિત શાહ માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને મળવા આવ્યા હતા અને એકબીજાના સંપર્કમાં રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે શિવસેનાએ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત ગયા વર્ષે કરી હતી.’