જામનગર મોર્નિંગ નવી દિલ્હી

રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણીને અને કંપનીના બે ડિરેક્ટરોને એરિક્સન નામની કંપનીને 550 કરોડની ચૂકવણી ના કરતા સુપ્રીમ કોર્ટે આને કોર્ટની અવમાનના ગણાવીને તેમને દોષિ ઠેરવ્યા તેમજ કંપનીને 453 કરોડ ચાર સપ્તાહની અંદર ચૂકવવા આદેશ આપ્યા છે અને જો તેઓ આ નાણાંની ચૂકવણી નહી કરે તો તેમને 3 માસની જેલની સજા ફટકરવામાં આવશે.

 

આ સિવાય કોર્ટે રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને 1-1 કરોડનો દંડ ફટકાર્યો છે અને જો તેઓ આ દંડની ચૂકવણી નહી કરે તો તેમને 1 માસની જેલની સજા ફટકારવામાં આવશે. કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જજ એફ નરીમન અને વિનીત સરનની બેન્ચે જણાવ્યું હતું કે, રિલાયન્સ સમૂહ દ્વારા કોર્ટને ચૂકવવામાં આવેલા 180 કરોડ એરિક્સનને આપવામાં આવશે. આ સિવાય કોર્ટે જણાવ્યું હતું કે, રિલાયન્સે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી જેને કોર્ટની અવમાનના ગણાવામાં આવશે. એટલું જ નહિં કોર્ટે જણાવ્યું હતું કે, રિલાયન્સની માફીને સ્વીકારવામાં આવશે નહીં કેમકે તેમણે જાણી જોઇને આ રકમની ચૂકવણી કરી નથી.

એરિક્સન ઇન્ડિયાએ રિલાયન્સ પર આરોપ લગાવ્યો હતો કે, રિલાયન્સ સમૂહની પાસે રાફેલ વિમાન ડીલમાં રોકાણ કરવા માટે નાણાં છે પરંતુ અમારા 550 કરોડ ચૂકવવા માટે નાણાં નથી. જો કે, રિલાયન્સે એરિક્સનના આરોપનો ઇન્કાર કરી દીધો હતો.