રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિશ્રીને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર શ્રી એમ.એ.પંડ્યા, શ્રી ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી શ્રી દીપકભાઈ, શ્રી હેમલભાઈ તથા શ્રી મુરલીભાઈએ રાષ્ટ્રપતિશ્રીને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.


રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું.તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.


મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર સુશ્રી નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિશ્રીએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.


જગત મંદિર ખાતે રાષ્ટ્રપતિશ્રી સાથે પૂજા વિધિમાં રાજ્યમંત્રી શ્રી વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, કલેકટર શ્રી એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી. જે. જાડેજા, પોલીસ વડા શ્રી નિતેશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.