નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી 

જામનગર મોર્નિંગ - મુંબઈ 


બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આર્યન અને અન્ય પાંચ લોકોને ક્લીન ચિટ આપવામાં આવી છે, તેમના નામ ચાર્જશીટમાં નથી. તેનો અર્થ એ છે કે એનસીબી દ્વારા આર્યનને ક્લીન ચીટ આપવામાં આવી છે.  

એસઆઈટીને આર્યન વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. પુરાવાના અભાવે ચાર્જશીટમાં જે લોકોના નામ સામેલ નથી, તેમાં આર્યન ખાન સિવાય અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સાયગન, ભાસ્કર રોડા અને માનવ સિંઘલનો સમાવેશ થાય છે.

એન્ટી ડ્રગ એજન્સીએ આ કેસમાં 6 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 14 આરોપીઓના નામ છે. આર્યન ધરપકડ કરાયેલા 20 લોકોમાંથી એક હતો, જેનું નામ આરોપીઓમાં સામેલ નથી. આ કેસમાં તપાસ એજન્સી નિર્ધારિત સમયની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યારબાદ કોર્ટે તેને માર્ચમાં બે મહિનાનો વધારાનો સમય આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબર 2021ના રોજ એનસીબી દ્વારા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનસીબીને ક્રુઝ શિપ પર રેવ પાર્ટીની માહિતી મળી હતી. આ પછી ક્રુઝ શિપમાંથી આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આ તમામ લોકો અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો.