ભાવનગરમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનાં ૫૪મા અધિવેશનનની શરૂઆત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું

ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી યે દેશ હૈ પુકારતા, પુકારતી મા ભારતી : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ: યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ: અનેક યોજનાઓ થકી યુવાનો “જોબ સિકર” નહીં પરંતુ “જોબ ગિવર” બન્યા

જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૪ માં અધિવેશનમાં ભાવનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તા.૬ થી ૮ જાન્યુઆરી સુધી ભાવનગરમાં યોજાનારા આ અધિવેશનના ઉદઘાટન સત્રનાં પ્રારંભે મુખ્યમંત્રી ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી સહિતના મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સત્રનો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું હતું કે ગોહિલવાડની ધન્ય ધરા પર જ્ઞાન, શિલ અને એકતાના સમગ્ર સમન્વય થકી રાષ્ટ્રનિર્માણ કાર્ય એ.બી.વી.પી.ના આ અધિવેશન દ્વારા થઈ રહ્યું છે. એ.બી.વી.પી.એ રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્રહિત અને સમાજ સેવા સહિતની અનેક પહેલને એક છત્ર નીચે સમાવિષ્ટ કરી ચાલતું સંગઠન છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેરાતા કહ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશ અત્યારે સ્વતંત્રના ૭૫ વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાન દૃઢપણે માને છે કે દેશના વિકાસમાં યુવાનોની મહત્તવની ભૂમિકા છે. ભારત અત્યારે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. જેથી આ યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ છે.
વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે.
એ.બી.વી.પી. વિષે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશ અને ગુજરાતના યુવાનો આટલા મક્કમ બનાવવામાં એ.બી.વી.પી. ની ભૂમિકા અતિ મહત્વની છે. આ સંગઠને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી. પી. એ લોકો સુધી પહોંચાડી છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરિવર્તન ક્રાંતિ સાથે એ.બી.વી.પી. કદમ મિલાવી રહી છે. રાષ્ટ્રહિતને સર્વોપરી માની આગળ ચાલનારી એ.બી.વી.પી. મા ભારતી સર્વોચ્ચ શીખરે બિરાજે તેવા કર્યો કરશે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં જોડવાનું આહ્વાન કરતી પંક્તિઓ “ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, યે દેશ હૈ પુકારતા, પુકારતી મા ભારતી” નું પઠન કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રહિતની આહલેક જગાવી તેમનું ઉદબોધન વિરમ્યું હતું.        આ તકે પ્રાસંગિક ઉદબોધન આપતા સ્વાગત સમિતિનાં અધ્યક્ષ કોમલકાંત શર્માએ જણાવ્યું કે, અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૫૪ મું અધિવેશન મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની છાત્ર શક્તિઓ માટે શિક્ષણની સાથે રાષ્ટ્રિયભક્તિનાં પ્રદર્શનની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવનાર છે. આ અધિવેશનમાં સરળ સ્વભાવના અને સક્રિય એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં તે બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે પ્રદેશ અધ્યક્ષ ડો. સંજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિદ્યાર્થી પરિષદ સાથે જૂનો સંબંધ છે, આજે ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં બે લાખથી વધુ સદસ્યતા ધરાવતું સંગઠન બન્યું છે. ૪૬ યુનિવર્સિટીમાં ૩૬૧ કરતા વધુ કેમ્પસ કારોબારીની રચના કરવામાં આવી છે. આં ઉપરાંત સમાજમાં જાગૃતિ ફેલાવવામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યરત છે.

સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા અતિથિ વિશેષ ડો. છગનભાઇ પટેલે જણાવ્યું કે, ભારતના રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું રજવાડું સૌપ્રથમ દેશ ને સમર્પિત કર્યું એ ભાવનગરની પ્રજાનો દેશ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે. આઝાદીના અમૃત મહોત્સવની સાથે આ સંગઠનનો પણ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. કાર્યક્રમથી કાર્યકર્તાનું નિર્માણ થાય અને રાષ્ટ્રભાવનાને આગળ વધારે તેવાં સંકલ્પ સાથે આ સંગઠનની અવિરત યાત્રા ચાલી રહી છે અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને ઉજ્વળ રાખવા આ સંગઠન કામ કરી રહ્યું છે.

આ અવસરે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઇ વાઘાણી, શિવાભાઈ ગોહિલ, ડે.મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા તેમજ એ.બી.વી.પી. સંગઠનનાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.