દાદાના અસ્થિ વિસર્જન માટે ગયેલા બે પૌત્રો પૈકીના એકે જીવ ગુમાવ્યો: એકનો બચાવ: પરિવારમાં ભારે શોક

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના ફલ્લા ગામ પાસે આવેલા કંકાવટી ડેમમાં આજે સવારે અસ્થિ વિસર્જન વેળાએ બે યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. જેને સ્થાનિક  માછીમારી કરતા લોકોએ બહાર કાઢ્યા હતા, પરંતુ એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એકને બચાવી લઈ સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. જેની હાલત સુધારા પર છે. દાદાના અસ્થિ વિસર્જન વેળાએ આ કરુણંતિકા સર્જાઈ હતી. જેને લઈને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામના સરપંચ લલીતાબેન કમલેશભાઈ ધમસાણીયાના મોટા સસરા પોપટભાઈ જુઠાભાઇ ધમસાણીયા કે જેઓનું શનિવારે અવસાન થયું હતું. તેઓની અંતિમ ક્રિયા પૂર્ણ કરાયા પછી રાખ પધરાવવા માટે સરપંચના દીયર પ્રતિક અરવિંદભાઈ ધમસાણીયા જ્યારે પોપટભાઈનો પૌત્ર આદિત્ય રાજુભાઈ ધમસાણીયા (ઉ.વ. ૨૨) કે જે આજે સવારે ફલ્લા નજીક આવેલા કંકાવટી ડેમમાં રાખ પધરાવવા માટે ગયા હતા.

દરમિયાન આદિત્યનો એકાએક પગ લપસી જતાં પાણીમાં સેવાળના કારણે સ્લીપ થયો હતો, તેમ જ પ્રતીક પણ પાણીમાં કુદી પડ્યો હતો. જે બંનેને તરતા આવડતું ન હોવાથી ડુવા લાગ્યા હતા. જે દરમિયાન ડેમના કાંઠે જ માછીમારી કરતા હોય તેવા લોકોએ પાણીમાં ઝંપલાવી દઈ બંને યુવાનોને બહાર કાઢ્યા હતા. તે પૈકી પ્રતીકની હાલત અત્યંત નાજુક હોવાથી ૧૦૮ની ટુકડી તેને લઈને ધ્રોલની સરકારી હોસ્પિટલે પહોંચી હતી જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત આદિત્ય રાજુભાઈ ધમસાણીયાને સૌ પ્રથમ ખાનગી વાહનમાં અને ત્યારબાદ અડધેથી ૧૦૮ની ટીમ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા છે. જ્યાં તેની હાલત સુધારા પર છે.

આ બનાવને લઈને ફલ્લા ગામમાં ભારે કરુણાંતિકા છવાઈ છે. સમગ્ર બનાવવાની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો કંકાવટી ડેમ ઉપર, ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયો છે, અને સમગ્ર બનાવવા અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.