ચાલકનું મૃત્યુ : પાછળ બેઠેલ અન્ય બે ઘાયલ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર નજીક દડીયા ગામ પાસે ત્રણ સવારી બાઈકની આડે એક ખુંટીયો આવી જતા બાઈક ફંગોળાઈ ગયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે જયારે પાછળ બેઠેલા અન્ય બે યુવાનોને સામાન્ય ઇજા થઇ છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દડીયા ગામમાં મહેશભાઈ વસંતભાઈ બાંભવા (ઉ.વ. ૨૦) નામના યુવાન ગુરૃવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના બે મિત્ર સાથે મોટરસાયકલમાં દડીયાથી જામનગર આવવા માટે રવાના થયા હતાં. આ વાહન આડે દડીયા નજીકના મામાસાહેબના મંદિર પાસે એક ખૂંટીયો આવતા મહેશભાઈએ તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં મોટરસાયકલ ખૂંટીયા સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં મહેશભાઈને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે અન્ય બે ને સામાન્ય ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા મહેશભાઈનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પિતા વસંતભાઈ મનછાભાઈ ભરવાડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.