• પોતાની દુકાનમાં લોખંડના પાઇપ મુકવા જતાં વીચ તારમાંથી વીજ આંચકો લાગ્યો


જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને લુહારી કામ કરતાં ૭૦ વર્ષના એક વયોવૃદ્ધ વેપારીનું વિચિત્ર અકસ્માતમાં વીજ આંચકાના કારણે મૃત્યુ નિપજયું છે. પોતાની દુકાનમાં સાફ સુફ દરમિયાન લોખંડનો પાઈપ ગોઠવવા જતાં ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનને અડી ગયો હતો, અને વીજ આંચકાના કારણે મૃત્યુ નિપજ્યુ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગરમાં રહેતા અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં કૃપા ફેબ્રીકેશન નામની દુકાન ચલાવતા છોટુભાઈ દેવજીભાઈ કવા નામના ૭૦ વર્ષના વયોવૃદ્ધ વેપારી ગઈકાલે મોડી સાંજે પોતાની દુકાનમાં સાફસફાઈ કરી ને લોખંડના પાઇપ ગોઠવતા હતા, જે દરમિયાન લોખંડનો પાઈપ ઉપરથી પસાર થઇ રહેલી ઈલેક્ટ્રીક લાઈનને અડી ગયો હતો. જેમાંથી વીજપ્રવાહ પસાર થઈ જતાં વેપારીને વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.