દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમાપરના ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જીકલ સ્‍ટ્રાઇક બાદ ઉભી થયેલી પરિસ્‍થિતિમાં પાકિસ્‍તાન સ્‍થિત ત્રાસવાદી જુથો દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ (ક્રમ ૧ થી ૫ મહેસુલી હકુમત ખંભાળીયા, ૬ થી ૮ મહેસુલી હકુમત કલ્‍યાણપુર, ૯ થી ૨૧ મહેસુલી હકુમત દ્વારકા) ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૮/૦૬/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.