• અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરથી જોડાયા

જામનગર તા. ૦૧ મે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે 'મારું ગામ-કોરોના મુક્ત ગામ' બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ કરવામાં આવ્યો હતો. 

જેમાં જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના દરેક ગામને કોરોના મુક્ત ગામ બનાવવા માટે દરેક ગ્રામ્ય સ્તરે જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની ૧૦ લોકોની કમિટી બનાવી, સમગ્ર ગ્રામ્ય સ્તરે શરદી તાવના દર્દીઓની તપાસ અને વધુ સઘન કરવા સૂચન કર્યું હતુ તેમજ સંક્રમિત દર્દીઓને અલગ રાખી, સંક્રમિત દર્દીઓને સારવાર માટે ગ્રામ્યસ્તરે જ વ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જ દરેક ગ્રામજન પોતાના વિસ્તારની દેખરેખ રાખે અને વિસ્તારના દર્દીઓ માટે જમવા રહેવાની વ્યવસ્થાઓમાં સહયોગ આપે તો નજીકના ભવિષ્યમાં “દરેક ગામને કોરોના મુક્ત ગામ” બનાવી શકાશે તેમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી. 

આ તકે જામનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવી જામનગરના ગ્રામજનોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સરપંચ થી સાંસદ સુધી દરેક આ અભિયાનમાં જોડાય, તંત્ર સાથે સહયોગ સાધી અને જાગૃત બનીને દરેક ગ્રામજનો જો સહકાર આપશે તો ખૂબ જલ્દી જામનગર જિલ્લાનું ‘દરેક ગામ કોરોના મુક્ત ગામ’ બનશે. 

  ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧ લી મે ૨૦૨૧ થી 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભમાં ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો- પદાધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાયા હતા આ અભિયાન ૧૫ મે સુધી સઘન અભિયાન તરીકે સમગ્ર રાજ્યમાં હાથ ધરાશે.