• જન પ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરવા સુચન કરતા સાંસદશ્રી

જામનગર તા.૦૪ એપ્રિલ, ધ્રોલ એ.પી.એમ.સી. ખાતે સાંસદ શ્રી પૂનમબહેન માડમે જન પ્રતિનિધિઓ તથા એ.પી.એમ.સી. ના હોદ્દેદારો સાથે બેઠક યોજી વિસ્તારમાં કોવિડ સંક્રમણને ફેલાતું અટકાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

સાંસદશ્રીએ જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા માઈક્રો મેનેજમેન્ટ કરવા તેમજ કો-મોર્બીડ તથા મોટી ઉંમરના દર્દીઓમાં જો લક્ષણો જણાય તો સત્વરે તેમને આઇસોલેટ કરવા તાકીદ કરી હતી.સાંસદશ્રીએ લોકોમાં વધુમાં વધુ વેકસીન અંગે જાગૃતિ કેળવાય તેમજ લોકો માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ તેમજ વારંવાર હાથ ધુએ તે બાબતે ખાસ અભિયાન થકી જન જાગૃતિ કેળવવા ભાર પૂર્વક આગ્રહ વ્યક્ત કર્યો હતો.સાથે સાથે લોકોને પણ અપીલ કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જો કોવિડના લક્ષણો જણાય તો દરેક વ્યક્તિ સત્વરે ટેસ્ટ કરાવે અને સ્વંય જ આઇસોલેટ થઈ જાય જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.

આ તકે જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ શ્રી મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી શ્રી જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી શ્રી હિરેન કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.