• જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો સતત સાતમા દિવસે પણ સાતસો થી ઉપર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨૮ કેસ નોંધાયા

  • જામનગર શહેરમાં ૩૯૭ અને ગ્રામ્યના ૩૩૧ કેસ નોંધાયા: સમગ્ર જીલ્લા માં ૫.૯૪ લાખ કોવિડ ટેસ્ટ કરાવાયા
  • જામનગર શહેરના ૧૬,૫૦૦ જ્યારે સમગ્ર જિલ્લાના ૨૫,૫૦૦થી વધુ કેસ નોંધાયા મૃત્યુ નો આંકડો ૩,૦૦૦ને પાર


 જામનગર તા ૫, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા ૧૦ દિવસ થી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૫૬ નો થયો છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ગઇકાલે સતત સાતમાં દિવસે પણ ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ યથાવત જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૧ અને ગ્રામ્યના ૧૮૩ સહિત ૪૮૪ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૫.૯૪ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૫૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૦૩૮ નો થયો છે. 

સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૭

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૬,૫૭૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૩૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૮,૭૨૫ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૫,૫૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૦૩૮ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૧ અને ગ્રામ્યના ૧૮૩ મળી ૪૮૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.