• આ પ્રકલ્પ થકી ગુલાબનગર, હાપા, નવાગામ ઘેડ સહિતના વિસ્તારની બે લાખથી વધુની વસતીને જળ સુવિધામાં ફાયદો થશે


જામનગર તા.૦૮ ઓગસ્ટ, ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબ નગર ઇ.એસ.આર ખાતે હયાત ૨૭ લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સમ્પના સ્થાને નવા ૩૭ લાખ લીટરની ક્ષમતાવાળા સમ્પ, પંપ હાઉસ પેનલ રૂમ, ક્લોરીનેશન રૂમ સહિતના આનૂસંગિક કામોનું સાંસદ શ્રી પૂનમબેન માડમે ખાતમુહૂર્ત કર્યું હતું. જે કામ આગામી ૧ વર્ષની સમય મર્યાદામાં રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર છે. 


આ નવીન પ્રકલ્પ થકી જામનગર શહેરની ગુલાબ નગર, હાપા તથા નવાગામ ઘેડ વિસ્તારની આશરે બે લાખથી વધુની વસતિ ને જળ સુવિધાનો લાભ મળશે.


આ નવીન સમ્પ બનવાથી વોટર લિકેજીસનો પ્રશ્ન હલ થશે, જળ સંગ્રહમાં દસ લાખ લીટરની ક્ષમતાનો વધારો થશે જેથી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે, ઝીરો લેવલ સુધી પાણી પંપિંગ થવાના કારણે મશીનરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, ક્લોરીનેશનના સુદ્રઢ માળખાના કારણે ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થઇ શકશે જેના કારણે પાણીજન્ય રોગો અટકશે અને લોકોના આરોગ્યમાં સુધારો થશે.


આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી સર્વશ્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાર્ગવ ડાંગર, ડેપ્યુટી કમિશનરશ્રી વસ્તાણી, આસી.કમીશનર શ્રી જીજ્ઞેશભાઇ નિર્મળ, સી.ટી. એન્જિનીયર શ્રી એસ.એસ.જોષી, શ્રી પી.સી.બોખાણી, શ્રી મુકેશભાઈ વરણવા, શ્રી ભાવેશભાઈ જાની સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.