મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાંચ મહાનગરો- છ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સંક્રમણ સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી 

આગામી સોમવાર તા.૧૦મી જાન્યુઆરીથી ‘આયુષ’ દ્વારા મહાનગરો-જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોચાડાશે


જિલ્લા-મહાનગરોના આરોગ્ય અને વહિવટી તંત્રો આ ઉકાળા પાવડરનો લાભ વધુને વધુ લોકો સુધી પહોચાડી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે તેવો અભિગમ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે.

  એટલું જ નહિ, સરકાર તરફથી તમામ જરૂરી મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે. 

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર તા.૧૦ જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરોને જરૂરિયાત મુજબ ધનવંતરી રથ અને સંજીવની રથ વધુ મોબીલાઇઝ કરવા તથા કોન્ટેકટ ટ્રેસિંગ વ્યાપક બનાવવા અને દરરોજના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવાની સૂચનાઓ આપી હતી. 

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, વરિષ્ઠ સચિવશ્રીઓ આ વિડીયો કોન્ફરનસમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.