રૂ.54 લાખના ખર્ચે ખીરીમાં 3 તળાવ અને બાલાચડીમાં 3 ચેકડેમ, 1 તળાવ અને પાણીની ટાંકી નિર્માણ પામશે: આ ચેકડેમના નિર્માણથી પાણીનો સંગ્રહ થતા વડાપ્રધાનશ્રીનું ખેડૂતોની બમણી આવક કરવાનું સૂત્ર સાકાર થશે : કૃષિમંત્રી

જામનગર મોર્નિંગ - જામનગર 


રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ખીરી અને બાલાચડી ગામે તળાવો અને ચેકડેમોનું તેમજ પાણી પુરવઠ્ઠાની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખીરી અને બાલાચડી ગામે સિંચાઇ વિભાગ હસ્તકના ચાર તળાવો, ત્રણ ચેકડેમ અને પાણીની ઊંચી ટાંકી નિર્માણ પામવાથી વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકશે. 


કૃષિમંત્રીએ વિવિધ ચેકડેમ અને તળાવોના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે. જામનગર દરિયાકિનારાનો વિસ્તાર હોવાથી અંહી પાણીની અછત છે, ત્યારે ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો તેમજ પાણીની ઊંચી ટાંકી બનતા લોકોને પીવાના પાણીનો લાભ મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક બમણી કરવાની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જામનગરનાં ગામડાઓમાં ચેકડેમ અને તળાવોના નિર્માણ થવાથી સંગ્રહ થયેલા વરસાદી પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે જેના પરિણામે સારો પાક થવાથી આવકમાં પણ વધારો થશે. કૃષિમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ રૂ.૩.૬૨ કરોડનાં ૩૮ કામો પ્રગતિ હેઠળ છે. ખીરી ગામે ખાતમુહૂર્ત કરાયેલા રાજાશાહી તળાવ રૂ.૧૧.૮૧ લાખ, રામપરિયુ તળાવ રૂ.૩.૧૬ લાખ, હનુમાન ઢોળાવાળુ તળાવ રૂ. ૧૪.૨૬ લાખના ખર્ચે જ્યારે બાલાચડી ગામે ખોયબા ચેકડેમ નં.૨ રૂ.૫.૦૭ લાખ, ભંડારીયા ચેકડેમ નં.૩ રૂ. ૬.૫૭ લાખ, ભંડારીયા ચેકડેમ નં.૪ રૂ.૮.૭૭ લાખના ખર્ચે અને ખારીવાળું તળાવ રૂ.૩.૫૦ લાખના ખર્ચે તેમજ પાણીની ઊંચી ટાંકી નિર્માણ પામશે. ખીરી અને બાલાચડી ગામે નિર્માણ પામનાર આ તળાવો, ચેકડેમો રૂ.૫૪ લાખનાં ખર્ચે આગામી સમયમાં તૈયાર થશે.

આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ, તાલુકા પંચાયતના સદસ્ય જોષનાબેન, ગૌતમીબેન પટેલ, અકબરી, જેઠાલાલ અઘેરા, રસિકભાઈ ભંડેરી, ભાણુભા, સહદેવસિંહ વાઘેલા, જયદેવસિંહ સહીતના અધિકારીશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.