રાજકોટની ૨૦ વર્ષની યુવતીના મોતના કારણમાં પરિવાર જવાબદાર

છાતીની બિમારી દૂર કરવા મંદિરે લઈ જવામાં આવી: મોડી સારવારના કારણે ૨૦ વર્ષની યુવતીનું મોત: યુવતીના પરિવાર પાસે જાત માહિતી મેળવતું વિજ્ઞાન જાથા: આસ્થા, શ્રદ્ધા રાખવાથી બિમારી દૂર થતી નથી: હૃદયની દર્દીને આસ્થા મુજબ ચાલીને લઈ જવામાં આવી: દર્દનાક ઘટના બની, ભવિષ્યમાં બનાવનું પુનરાવર્તન ન થાય તે માટેના જાથાના પ્રયાસો

જામનગર મોર્નિંગ - અમદાવાદ 


૨૧ મી સદીમાં માનવીની માનસિકતા, વાણી-વર્તન-વ્યવહારમાં અંધશ્રદ્ધા અજ્ઞાનતા જોવા મળે ત્યારે જરૂર આશ્ચર્ય થાય તેવો બનાવ રાજકોટમાં ૨૦ વર્ષની યુવતીને અસહ્ય છાતીનો દુઃખાવો ઉપડતા બિમારી દૂર કરવા ધાર્મિક સ્થાને લઈ જવામાં આવી. મેડિકલ સારવારમાં મોડું થવાના કારણે યુવતીનું દર્દનાક મોતનો કિસ્સો બહાર આવ્યો તેની જાત માહિતી મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રૂબરૂ જવાથી તારણમાં અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, જુની માન્યતાનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું. યુવતિના મોતના કારણમાં પરિવાર જવાબદાર હોવાનું ખુલ્યું હતું. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે જાથાએ પરિવારને સાંત્વના સાથે સમજ આપી હતી.

બનાવની વિગતમાં રાજકોટ માધાપરચોકડીની આગળ દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામેની શેરીમાં વસવાટ કરતાં ગોપાલભાઈ બચુભાઈ બજાણીયાની મોટી દિકરી લક્ષ્મીને ઘણા સમયથી છાતીમાં દુઃખાવો થતો હતો. માનતા વિગેરે દેશી ઉપચાર કરવામાં આવ્યો હતો. એકાએક છાતીમાં દુ:ખાવો વધવાથી પિતાને બોાલવી વાત કરતાં લક્ષ્મીએ ધાર્મિક સ્થાને દર્શને લઈ જવાનું કહેતા રાજકોટથી ૭૦ કિલોમીટરે લઈ જવામાં આવી હતી. આસ્થા મુજબ વિધિનો સામાન સાથે રોડ સુધી ચાલીને લઈ જવામાં આવી. ત્યાર બાદ વાહનમાં શ્રદ્ધા સ્થળે ગયા હતા. યુવતીને વાસ્તવમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. બાદ બિમારી દૂર કરવા ધાર્મિક સ્થળે ગયા હતા. યુવતીને અસહ્ય દુઃખાવો વચ્ચે રાજકોટ પરત આવ્યા હતા. ઘરે આવીને યુવતીએ થાકના કારણે સુઈ જવાનો આગ્રહ કર્યો તે પથારીમાં સુઈ તે આખરી મંજિલ સાબિત થઈ હતી. યુવતીનું હલનચલન ન થવાથી માતાએ બધાને વાત કરતાં એમ્બ્યુલન્સ આવી ડોકટરે તપાસતા મોત હોવાનું દુનિયાને અલવિદા કરી દીધી છે તેવું કથન કર્યું હતું. પરિવાર હતપ્રત થઈ ગયો ત્યારે દવાખાને લઈ જવાનું ભાન થયું તે વખતે ઘણું મોડું થઈ ગયું હતું. મેડિકલ સારવાર મોડી થવાથી દિકરી મોતને ભેટી છે તેવો બધાને અહેસાસ થયો હતો. છાતીના દુઃખાવા પછી ૪ કલાક પછી મંદિરેથી પરત આવ્યા હતા. પથારીમાં સુવા સાથે અંતિમ શ્વાસ દિકરીએ લઈ લીધા હતા. મંદિરે લઈ જવાથી સારુ થઈ જવાની ભ્રમણામાં પરિવારે શિક્ષિત યુવાન દિકરીને ખોઈ દીધી હતી. દવાખાનાના બદલે મંદિરે લઇ જવાની વાતો વાયુવેગે પ્રસરતા સગાસંબંધીઓ દોડી આવ્યા હતા. પ્રચાર માધ્યમોને ખબર પડતા ગોપાલભાઈ બજાણીયા પાસે માહિતી મેળવતા અંધશ્રદ્ધાના કારણે યુવતીનું મોત થયું તેની વિગત બહાર આવી હતી.

સમાચાર પત્રો અને ટી.વી. માં વિગત આવતા સૌ કોઈએ ધિક્કારની લાગણી પ્રદર્શિત કરી હતી. લોકોએ યુવતી સંબંધી વિજ્ઞાન જાથાને સ્તોત્ર મોકલવામાં આવ્યો હતો. અંધશ્રદ્ધાનો બનાવ હોય પરિવાર પાસે જાત માહિતી મેળવવાનું નક્કી કર્યું. જામનગર રોડ ઉપર પરિવારના ઘર આસપાસ કાર્યકરોને ગોઠવી દીધા. તેમને માત્ર દેખરેખ રાખવાની કામગીરી સોંપવામાં આવી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા અને કાર્યકર્તાઓ ગોપાલભાઈ બજાણીયાને ઘરે પહોંચી રૂબરૂમાં પરિચય આપી શા કારણે આવ્યા છીએ તેવી હકીકત મુકી ત્યારે ટી.વી. ચેનલ વાળા હાજર હતા. રૂબરૂમાં માહિતી મેળવતા હતા ત્યારે પિતાએ કીધું દિકરી લક્ષ્મીના કહેવાથી બિમારી દૂર કરવા માટે વાંકાનેરથી ૨૦ કિલોમીટર દૂર અમારા વિહોત માતાના સ્થાનકે પરિવાર સાથે ગયા હતા. લક્ષ્મીને છાતીમાં દુઃખાવો હોવા છતાં ચાલીને ગયા હતા.પછી વાહનમાં બેઠા હતા. સ્થાનકે જવું હોય તો શ્રીફળ વિગેરે તો લઈ જવું પડે ને ? તેવી વાત મુકી હતી. ત્યાં દર્શન કરી પરત થયા. બાદ લક્ષ્મીને થાક હોય તે સૂઈ ગઈ હતી. છાતીનો દુઃખાવો હોવા છતાં દવાખાને કે ડોકટર પાસે લઈ ગયા ન હતા. તેમને સારુ થઈ ગયું છે તેવું અમો માનતા હતા.દર્શન પછી સારું તો થઈ જાય તેવો વિશ્વાસ હતો. રાત્રિના યુવતી લક્ષ્મીની માતાએ પથારીમાં નજર પડતાં સાવ હલન ચલન બંધ થઈ ગયું હતું. તેથી બધાને વાત કરી. તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. દવાખાને ડોકટરે તપાસતા હૃદય ચાલતું બંધ થઈ ગયું હતું. લક્ષ્મીએ દુનિયાને અલવિદા કરી હતી. બધાએ રોક્કડ કરી રડવું બંધ કરી શકયા ન હતા. માહોલ ગમગીન બની ગયો હતો. યુવતીનું પોસ્ટમોર્ટમ નિયમ મુજબ કરવું ફરજીયાત હતું. જે તે પોલીસ સ્ટેશનને દવાખાનામાંથી જાણ કરવામાં આવી. પી.એમ. રીપોર્ટની પ્રતિક્ષામાં પરિવાર છે. બજાણીયા પરિવારમાંથી હાજર કોઈને દવાખાનામાં લઈ જવાનો સુધ્ધા વિચાર આવ્યો ન હતો. આ તે કેવી માનસિકતા ગણવી ? જાથાએ સાંત્વના સાથે બધાને ઠપકો આપી માત્ર મેડીકલ સારવારના અભાવે દિકરીનું મોત થયું છે તેમાં પરિવાર જ જવાબદાર છે તેવું જાહેરમાં ઉચ્ચારણ કર્યું હતું. જાથા સામે કોઈ બોલી શકયું ન હતું. સાચી વાત સૌ કોઈએ સ્વીકારી હતી. આસ્થા-શ્રદ્ધા રાખવાથી બિમારી દૂર થતી નથી તેના દાખલા આપ્યા હતા. બજાણીયા પરિવારે મોટી ભુલ કરી છે તેવું બેધડક કહેતા ભૂલનો સ્વીકાર કર્યો હતો.

જાથાના જયંત પંડયાએ પરિવાર સામે ચોખવટ કરી આવા બનાવોનું પુનરાવર્તન ન થાય, બિમારી વખતે મેડીકલ સારવાર લેવી જોઈએ. હાજર સૌ કોઈને જાગૃત કરી બનાવની ભૂલ સંબંધી અવગત કર્યા હતા. ગોપાલભાઈ કેબીન ધરાવે છે, ચાર સંતાન છે. સારવારના અભાવે દિકરી ગુમાવી દીધી. હવે ત્રણ સંતાનો છે. અભણ-અજ્ઞાનતા જોવા મળતી હતી. જાથાએ તેમના ઘરે જ પરિવાર મોત માટે જવાબદાર છે તેવું જાહેર કરી દીધું હતું. જાથાના કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. કાર્યકર્તાઓ સ્વરક્ષણ સંબંધી શેરીમાં ગોઠવાઈ ગયા હતા. બજાણીયા પરિવારે પુરતો સહયોગ આપ્યો હતો.

અંતમાં જાત માહિતીના તારણમાં પરિવારની અજ્ઞાનતા-અંધશ્રદ્ધામાં ૨૦ વર્ષની યુવાન દિકરી મોતને ભેટી છે. મેડીકલ રિપોર્ટ આખરી ગણવાનો રહેશે. રાજયમાં અંધશ્રદ્ધાના બનાવ સંબંધી માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.