જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના લોહાણા અગ્રણી તેમજ બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા આસામીના પુત્ર સામે રૂ.૨૫ લાખના ચેક પરતની થયેલી ફરિયાદમાં અદાલતે નિર્દોષ છુટકારો કર્યો છે. 

જામનગરમાં સૌરાષ્ટ્ર કેલ્સાઈન બોક્સાઈટ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ડાયરેકટરની સેવા આપતા અરવિંદભાઈ પાબારીના પુત્ર જયભાઈ સામે થોડા સમય પહેલા પરાક્રમસિંહ રણજીતસિંહ રાણાએ રૂ.૨૫ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ એડી. ચીફ જ્યુડી. મેજી. સી.કે. પીપલીયાની અદાલતમાં ચાલવા પર આવતા આરોપી તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, આરોપી અને ફરિયાદી વચ્ચે આ પ્રકારનો કોઈ વ્યવહાર થયો નથી, બંને ક્યારેય મળ્યા નથી. ફરિયાદીએ કોઈ રીતે આરોપીનો ચેક મેળવી લઈ ખોટી રીતે ફરિયાદ નોંધાવી છે તે ઉપરાંત ફરિયાદી આ રકમ આપી શકે તે પ્રકારની આર્થિક સદ્ધરતા સાબિત કરી શક્યા નથી, આ રકમ ક્યાંથી આવી તેની નોંધ બુક્સ ઓફ એકાઉન્ટમાં પણ હોવાનું ફરિયાદ સાબિત કરી શક્યા નથી.

અદાલતે બંને પક્ષની રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી જય અરવિંદભાઈ પાબારીનો શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. જય પાબારી તરફથી ભોજાણી એસો.ના પિયુષ વી. ભોજાણી, ભાવિન વી. ભોજાણી, કિશોર ભટ્ટ, ભાવિન રાજદેવ, અર્ષ કાશમાણી, અલ્કા નથવાણી, ફેનિલ બથીયા રોકાયા હતા.