જામનગર મોર્નિંગ 

પાકિસ્તાનના હિન્દુઓની આખરી ઈચ્છા પૂરી કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સૌથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં અનેક હિન્દુઓની અંતિમ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પછી અસ્થીઓને ભારતની પવિત્ર નદી ગંગામાં વિસર્જિત કરવામાં આવે, પરંતુ તેમના મૃત્યુ પછી પરિવારના લોકોને પાકિસ્તાનથી ભારતનો પ્રવાસ સરળ ના હોવાને કારણે તેમની ઈચ્છા અધૂરી જ રહેતી હતી. પરંતુ હવે મોદી સરકારે એવું પગલું લીધું છે કે આ તમામ પરિવાર પોતાના સ્વજનોના અસ્થિઓને લઈને હરિદ્વાર સુધી લાવી શકશે અને ધાર્મિક ક્રિયાઓ અનુસાર અસ્થિઓને પવિત્ર નદી ગંગામાં વિસર્જિત પણ કરી શકશે. મોદી સરકારે ‘Sponsorship policy for Pakistani Hindus’માં સુધારો કર્યો છે, જે અંતર્ગત પહેલી વખત 426 પાકિસ્તાની હિંદુઓના અસ્થિને તેમના પરિવારના સભ્યો ગંગા નદીમાં વિસર્જિત કરી શકાશે. હાલમાં આ અસ્થિઓને કરાચીના અમુક મંદિરો અને સ્મશાન ઘાટ અને અન્ય જગ્યા પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોઈ પણ પાકિસ્તાની હિન્દુને પણ કોઈ પણ ઉદ્દેશ વિના ભારત આવવાની મંજૂરી નથી, પરંતુ સરકાર હવે એ તમામ પરિવારને દસ દિવસમાં ભારતીય વિઝા આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત પરિવાર પોતાના મૃતક સ્વજનના અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરી શકશે. અલબત્ત, વર્ષ 2011થી 2016 સુધીમાં 295 પાકિસ્તાની હિંદુઓના અસ્થિને વાઘા બોર્ડર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે પહેલી વખત એવું બનશે કે જ્યારે મૃતકના પરિવારનો કોઈ સભ્ય અસ્થિઓને લઈને હરિદ્વાર સુધી લઈ જશે. મોદી સરકારના આ નિર્ણયને પાકિસ્તાની હિન્દુઓ આવકારી રહ્યા છે.