ગર્ભવતી બનેલી યુવતીને તરછોડી દેતા યુવાન તથા પરિવારજનો સામે ગુનો 

જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા


ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ શખ્સ દ્વારા જામનગરની યુવતી સાથે મિત્રતા કેળવી ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી, વિધર્મી હોવા છતાં ધર્મ પરિવર્તન કરી અને તેણી સાથે લગ્ન કરશે તેવી ખાતરી આપી, અવાર નવાર દુષ્કર્મ ગુજારવા તથા તરછોડીને કાઢી મૂકવા અને મારી નાખવાની ધમકી આપવા સબબ આરોપી શખ્સ તથા અન્ય ત્રણ સામે ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગરમાં રહેતી એક યુવતી સાથે ખંભાળિયામાં નગર નાકાની અંદરના વિસ્તારમાં રહેતા અલ્તાફ રજબઅલી મીન્સારીયા નામના શખ્સે પરિચય કેળવ્યા બાદ મિત્રતા આગળ વધારી હતી.

આરોપી શખ્સ વિધર્મી હોવાથી યુવતી તેની સાથે લગ્ન નહીં કરી શકે તેમ જણાવતા અલ્તાફે ધર્મ પરિવર્તન કરી, યુવતીનો ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહી વિશ્વાસમાં લીધા બાદ યુવતી સાથે પોતાના ઘરે તથા અન્ય સ્થળે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

આનાથી સગર્ભા બનેલી આ યુવતી સાથે આરોપી શખ્સ હવે કોઈ સંબંધ રાખવા માંગતો ન હોવાનું જણાવતા તેણી જામનગરથી ખંભાળિયા ખાતે આરોપીના ઘરે આવી હતી. જ્યાં અલ્તાફ સાથે રહેલા તેના માતા મેરૂનબેન રજબઅલી, બહેન મુમતાઝ તથા તેની ભાણેજ સોફિયા કાલરીયા દ્વારા એક સંપ કરી, જામનગરથી આવેલી યુવતીને બિભત્સ ગાળો કાઢી, ઘરમાંથી કાઢી મૂકી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યાર પછી પણ આરોપીએ ફરિયાદી યુવતીનો ધર્મ અપનાવીને તેની સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી, તેણી સાથે સમાધાન કરી લીધું હતું અને પુનઃ તેની સાથે રહ્યા બાદ ભોગ બનનાર યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હતું. જેથી આ યુવતીનું અબોર્સન કરાવી નાખવામાં આવ્યું હતું.

આ પછી આરોપી દ્વારા ફરી વખત યુવતીને તરછોડી મૂકવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી અલ્તાફ, મેરૂનબેન, મુમતાઝ તથા સોફિયા સામે આઈ.પી.સી. કલમ 376 (એન), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.