સ્થાનિકો દ્વારા પોલીસ મહાનિરીક્ષકને સન્માનિત કરાયા: આઈ.જી. દ્વારા જ્ઞાતિની વાડી માટે રૂપિયા દસ હજારનું અનુદાન

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે રાજકોટ રેન્જ આઈ.જી.નું આગમન થયું હતું અને સ્થાનિક આગેવાનો, પત્રકારો સાથે લોકો મીટીંગ યોજી હતી. તેમજ મહોલ્લા લોક દરબારમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સાંભળ્યા હતા.

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અહીં આવ્યા હતા. તેમના દ્વારા લોકોના પ્રશ્નો તેમજ ખાસ કરીને વ્યાજ વટાવવા અંગેની સમસ્યા જાણી, આ અંગેના તાકીદે અને સુવ્યવસ્થિત રીતે નિકાલની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે અનુસૂચિત જાતિ મહોલ્લા લોક દરબાર અંતર્ગત ખંભાળિયાના ચુનારાવાસ ખાતે ગત સાંજે ચારણિયા સમાજ તથા જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ જાહેર કાર્યક્રમમાં સ્થાનિકો દ્વારા રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પોલીસ તંત્રની વ્યાજખોરો સામેની ઝુંબેશને લોકોએ આવકારી હતી.

     સન્માન બદલ તેમણે ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરી, આ સ્થળે જ્ઞાતિની વાડી બનાવવામાં સહાયભૂત થવા માટે તેમના દ્વારા રૂપિયા 10,000 નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સમારંભમાં ઉપસ્થિત તમામ બાળકોને ખંભાળિયા પોલીસ દ્વારા આઈ.જી.પી.ના હસ્તે પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

     આ અનુસૂચિત મહોલ્લા વિઝીટ દરમિયાન યોજવામાં આવેલા લોક દરબારમાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, મીઠાપુર તથા કલ્યાણપુરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન દરમિયાન સાથે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. કે.કે. ગોહિલ, ડી.એમ. ઝાલા વિગેરે સાથે રહ્યા હતા.