જામનગર મોર્નિંગ - જામનગર  

શહેર-જિલ્લામાં દરેક જગ્યાએ રખડતા કૂતરાઓનો ત્રાસ હોય છે, રખડતા કૂતરા કરડતાં હોવાની સત્તાધીશોને અવાર-નવાર ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી, ત્યારે જામનગરના ધુતારપુર ધુળસીયા નજીક રખડતા શ્વાનના આંતકની ઘટના સામે આવી છે. જ્યાં ગામમાં મધ્યપ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરવા આવેલ હોય તેના બે માસુમ બાળક સહીત એક મહિલાને રખડતા શ્વાને અનેક બચકા ભર્યા હતા, અને માસૂમોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ગઈકાલે વીરજુ કદમ ચૌહાણ નામની 6 વર્ષની બાળકીને તેમજ અન્ય એક બાળકને બચકાઓ ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, ત્યારે માસુમ બાળકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જામનગર શહેર-જિલ્લામાં લોકોને સૂમસામ રસ્તા ઉપર દરરોજ શ્વાનનો સામનો કરવો પડી રહ્યો છે, તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું નાટક તો સંદતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાથી કૂતરાની વસ્તી ઘટવાને બદલે સતત વધતી રહી છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળા સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતા સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે.